Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તમામ રાજકીય પાર્ટીઓએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. તો બીજી તરફ રાજ્યમાં ચુટણી નજીક આવતા ભારતીય જનતા પાર્ટી પણ સક્રિય થઈ ગઈ છે. આજથી બીજેપી ડિજિટલ પ્રચારના શ્રી ગણેશ કરવા જઈ રહી છે. ડિજિટલ પ્રચાર માટે ભાજપે LED રથ બનાવ્યા છે. LED રથના મધ્યમથી ભાજપ 20 વર્ષના વિકાસના કામો બતાવશે. 182 વિધાનસભામાં 182 અલગ અલગ રથ ફરશે.  ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આજે પ્રારંભિક 50 રથોને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે કમલમ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો એકઠા થયા હતા.


 






નોંધનિય છે કે, ભરોસાની ભાજપ સરકાર સૂત્ર સાથે LED રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રાજ્યના ૧૮૨ વિધાનસભા વિસ્તારમાં આ રથ ભ્રમણ કરશે.  સીએમ ભુપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલના હસ્તે લીલીઝંડી આપવામાં આવી હતી. બે પ્રકારની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં આ રથ ફરશે. આગામી ચૂંટણી સુધી તમામ ગ્રામ્ય વિસ્તારો, મહોલ્લામાં સરકારે કરેલા કામો LED રથમાં બતાવવામાં આવશે. વર્ષ 2017માં જાહેર કરેલ મેનીફેસ્ટોમાં કરેલ કામો લોકોને બતાવવામાં આવશે.


ટિકિટને લઈને ડખાં શરૂ


 ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા કુલદીપસિંહ રાઉલજીના કારણે હવે કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. વિધાનસભા ચૂંટણી પહેલા ટિકિટને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. 4 વખત ધારાસભ્ય અને મંત્રી રહી ચૂકેલા ખુમાનસિંહ ચૌહાણે કુલદીપસિંહ રાઉલજી સામે બાયો ચડાવી છે. તમને જણાવી દઈએ કે, ખુમાનસિંહ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. હવે તેમણે વિરોધ નોંધવતા સમગ્ર વિસ્તારમાં રાજકીય હડકંપ સર્જાયો છે. તેમણે કહ્યું કે, હું જ સાવલી વિધાનસભા બેઠક માટે કોંગ્રેસનો ઉમેદવાર છું. તેમણે એમ પણ કહ્યું કે, હું કોંગ્રેસમાંથી લડીશ અને જીતીશ. તેમણે એમ પણ કહ્યું કે, ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા કુલદીપસિંહ રાઉલજીને ટિકિટ આપી તો કોંગ્રેસની કારમી હાર થશે.


10 વર્ષથી ભાજપમાં રહેલા કુલદીપસિંહ રાઉલજીએ ભાજપ મોવડી પાસે ટિકિટ માંગી હતી પણ ટિકિટ ન મળવાના એંધાણ મળતા જ કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે 2017માં ખુમાનસિંહને કોંગ્રેસે ટિકિટ ન આપતા તેઓ એન.સી.પીમાં જોડાયા હતા અને ચૂંટણી હાર્યા હતા. આમ કોંગ્રેસમાં ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ખુમાનસિંહે કહ્યું કે, માની લો કે કુલદીપસિંહ રાઉલજીને કોંગ્રેસમાંથી ટીકિટ મળે અને જીતે તો પણ 4 મહિના પછી ભાજપમાં જોડાઈ જશે. કોંગ્રેસમાંથી ભાજપમાં જતા ધારાસભ્યોની માફક કુલદીપસિંહ મામલે પણ ખુમાનસિંહએ શંકા વ્યક્ત કરી છે.