Aam Aadmi Party: ગુજરાત આમ આદમી પાર્ટીમાં કભી ખુશી કભી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. એક બાજ વિસાવદર બેઠક પરથી ગોપાલ ઈટાલીયાની જીત થઈ છે તો બીજી તરફ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા નારાજ થયા છે. ઉમેશ મકવાણાએ આજે સવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની અટકળો વચ્ચે દંડકપદેથી રાજીનામું આપ્યું છે. ઉમેશ મકવાણાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી દંડક પદેથી રાજીનામું આપી દીધુ છે. જોકે તેમણે હજુ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું નથી આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ઉમેશ મકવાણાના નિવેદન અને તેમના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આમ ઉમેશ મકવાણા પાર્ટી છોડે તે પહેલા જ પાર્ટીએ તેમને બહારનો રસ્તો બતાવી દીધો છે. એવી પણ અટકળો સામે આવી છે ઉમેશ મકવાણા કા તો બીજેપીમાં જશે અથવા કોઈ નવી પાર્ટી બનાવી શકે છે. જોકે, ઉમેશ મકવાણાએ આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી.
MLA ઉમેશ મકવાણાએ દંડક પદેથી આપ્યું રાજીનામું
ગુજરાતમાં તાજેતરમાં જ બે વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી, જેમાં કડીમાં ભાજપ જીત્યુ તો વિસાવદરમાં આપે બાજી મારી હતી, આ બન્ને પરિણામો બાદ સૌથી વધુ ચર્ચા આપ નેતા ગોપાલ ઇટાલિયા અને ગુજરાત આપની થઇ રહી હતી, પરંતુ હવે ગુજરાત આમ આદમી પાર્ટીને ઝટકો આપતા સમાચાર સામે આવ્યા છે. આજે બોટાદના આપના ધારાસભ્યએ પાર્ટીને જ મોટો ઝટકો આપી દીધો છે. બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી આમ આદમી પાર્ટીના દંડક પદેથી રાજીનામું આપી દીધુ છે. આ રાજીનામા સાથે ગુજરાત આપમાં ડખો થયો હોવાની વાત પણ ચર્ચાએ ચઢી છે.
તાજેતરમાં આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ધારાસભ્ય પદેથી રાજીનામું આપે એવી અટકળો વચ્ચે તેમણે દંડકપદેથી રાજીનામું આપ્યું છે. ઉમેશ મકવાણા છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં ગેરહાજર રહેતા હતા. દંડકપદેથી રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ વિપક્ષની ભૂમિકામાં નિષ્ફળ રહી છે. હું આપના કાર્યકર તરીકે કામ કરતો રહીશ અને ધારાસભ્ય પદ છોડવા અંગે પ્રજાને પૂછીને નિર્ણય કરીશ. મળતી માહિતી અનુસાર, AAPના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ છે અને આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ચર્ચાઓ ચાલી રહી છે. એવામાં તેમણે આજે દંડકપદેથી રાજીનામું આપી દીધું છે.
2022ની વિધાનસભા ચૂંટણીમાં AAP દ્વારા બોટાદ બેઠક પર ઉમેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી હતી. તેમણે ભાજપના ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસના મનહર પટેલને હરાવી દીધા હતા. આ પછી આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને ભાવનગર બેઠક પરથી લોકસભાની ટિકિટ પણ આપી હતી, જો કે તેઓ ચૂંટણી હારી ગયા હતા.