અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસમાં ભંગાણ પડે એવી શક્યતાઓ ઉભી થઈ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, કોંગ્રેસના એક ધારાસભ્યે રાજીનામું આપી દીધું છે જ્યારે વધુ બે ધારાસભ્યો રાજીનામાં આપે તેવી શક્યતા છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું આપી દીધું હોવાનું સૂત્રો જણાવે છે. આ ઉપરાંત વધુ બે ધારાસભ્યો ગુરૂવારે બપોર પછી રાજીનામાં આપે તેવી શક્યતા હોવાનું પણ સૂત્રો જણાવે છે.


રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે અને ધારાસભ્યોની તોડફોડ રોકવા સક્રિય થઈ છે પણ તેના પ્રયત્નો ફળે એવું લાગતું નથી. ગુરુવારે બપોરે કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક બોલાવાઈ હતી પણ એ પહેલાં જ રાજીનામાની વાતો વહેતી થતા4 કોંગ્રેસમાં સોપો પડી ગયો છે.

રાજ્યસભાની ચૂંટણીમાં બંને ઉમેદવારોને જીતાડવા માટે કોંગ્રેસના તમામ ધારાસભ્ય પક્ષને વફાદાર રહે તે જરૂરી છે. એક ઉમેદવારને 35 મત મળે તો જ બંને ઉમેદવારો જીતે તેમ છે ને આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવાઈ છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પક્ષના સિનિયર નેતાઓની આગેવાનીમાં બેઠક મળશે. ધારાસભ્યોની બેઠક બાદ જિલ્લા અને શહેરના હોદેદારોની બેઠક મળશે. કોરોનાની સ્થિતિ સામે સરકાર અને પ્રશાસનને ઘેરવા માટે આ બેઠકમાં ચર્ચા કરાશે.