અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે હોસ્પિટલોમાં પણ ડોક્ટરો અને કામ કરતાં કર્મચારીઓને કોરોનાએ પોતાની ઝપેટમાં લીધા છે. અમદાવાદમાં એલજી હોસ્પિટલમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. દર્દીની સારવાર દરમિયાન રેસિડેન્ટ ડોક્ટરને કોરોનાનો ચેપ લાગ્યો છે.


મળતી માહિતી મુજબ એલજી પોસ્ટિપલમાં કામ કરતાં ડોક્ટરોનો 1 જૂનના રોજ રિપોર્ટ લેવામાં આવ્યો હતો જેમાં એક રેસિડેન્ટ ડોક્ટર, બે ગાયનેક તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સાથે સાથે બે મેડીસીનના દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

નોંધનીય છે કે, આ પહેલા પણ LG હોસ્પિટલમાં 23 તબીબોને કોરોનાનો ચેપ લાગ્યો હતો જે પૈકી તમામ તબીબ હાલમાં સ્વસ્થ્ય છે.

3 જૂનના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 29 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદ-24, અરવલ્લી-2 સુરત, મહેસાણા અને જૂનાગઢમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1092 પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે સૌથી વધુ 1114 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 11894 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ 4646 એક્ટિવ કેસ છે જેમાં 62 વેલ્ટીલેટર પર છે અને 4584 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2 લાખ 21 હજાર 610 ટેસ્ટ કરવામાં આવ્યા છે.