અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસમાં ભંગાણ પડે એવી શક્યતાઓ ઉભી થઈ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, કોંગ્રેસના ત્રણ ધારાસભ્યે રાજીનામું આપી દીધાં છે.


સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢાપરમાર અને વલસાડના કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામાં આપી દીધું હોવાનું સૂત્રો જણાવે છે. આ ઉપરાંત બીજા કેટલાક ધારાસભ્યો પણ હજુ રાજીનામાં આપે તેવી શક્યતા હોવાનું પણ સૂત્રો જણાવે છે. રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવારો ઉભા રાખ્યા છે જ્યારે કોંગ્રેસે બે ઉમેદવારો ઉભા રાખ્યા છે. ભાજપના ઉમેદવાર નરહરી અમીને રાજ્યસભાની ચૂંટણીમાં જીતવા માટે પોતાની બધી તાકાત લગાવી દીધી છે.



રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે અને ધારાસભ્યોની તોડફોડ રોકવા સક્રિય થઈ છે પણ તેના પ્રયત્નો ફળે એવું લાગતું નથી. ગુરુવારે બપોરે કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક બોલાવાઈ હતી પણ એ પહેલાં જ રાજીનામાની વાતો વહેતી થતા4 કોંગ્રેસમાં સોપો પડી ગયો છે.

રાજ્યસભાની ચૂંટણીમાં બંને ઉમેદવારોને જીતાડવા માટે કોંગ્રેસના તમામ ધારાસભ્ય પક્ષને વફાદાર રહે તે જરૂરી છે. એક ઉમેદવારને 35 મત મળે તો જ બંને ઉમેદવારો જીતે તેમ છે ને આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવાઈ છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પક્ષના સિનિયર નેતાઓની આગેવાનીમાં બેઠક મળશે. ધારાસભ્યોની બેઠક બાદ જિલ્લા અને શહેરના હોદેદારોની બેઠક મળશે. કોરોનાની સ્થિતિ સામે સરકાર અને પ્રશાસનને ઘેરવા માટે આ બેઠકમાં ચર્ચા કરાશે.