અમદાવાદ: રાજ્યનું શિક્ષણ વિભાગ શાળા અને વિદ્યાર્થીઓ સાથે અખતરા કરવા માટે ટેવાયેલું છે, તેવામાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલ પ્રયોગને લઈને શિક્ષક ઉપરાંત શિક્ષણ વિદોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. શિક્ષણ વિભાગે ધોરણ છ ગુજરાતી વિષયના પુસ્તક તૈયાર કર્યા છે જે હાલ ચર્ચા અને વિવાદનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતી ભાષાના શિક્ષકોમાં ચર્ચા ચાલી રહી છે કે જાણે ગુજરાતના કવિઓને લેખકો ખોટી પડ્યા હોય તેમ વિદેશના સાહિત્યકારોના પુસ્તકમાંથી વિષયવસ્તુ લેવામાં આવી રહી છે તેમાંય નાના બાળકો માટે ' પાઠ ઉમેરવામાં આવ્યા છે.


એક તરફ જ્યાં abp asmita શાળાઓમાં ભૂતિયા વિદ્યાર્થીઓને લઈ મુહીમ ચલાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ રાજ્યની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભુતના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. ધોરણ 6ના ગુજરાતી માધ્યમમાં ગુજરાતી વિષય કે જેને હવે પલાસ નામે ઓળખવામાં આવે છે. આ પુસ્તકમાં પહેલો જ પાઠ વિદ્યાર્થીઓને ભૂતનો ભણાવવામાં આવી રહ્યો છે. એક તરફ જ્યાં અંધશ્રદ્ધા, ભૂત - પ્રેત વગેરેને લઈને જાગૃતતાના કાર્યક્રમો કરવામાં આવે છે, તો બીજી તરફ અધિકૃત રીતે સામે ચાલીને વિદ્યાર્થીઓને ભુતના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. જેને લઈને ભાષાના શિક્ષકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પરંતું આ બાબતે તેઓ ખોલીને કંઈક બોલી નથી શકતા. 


જાણકારોનું માનીયે તો પ્રાથમિક વિભાગમાં વિદ્યાર્થીઓને ભૂત જેવા પાત્રથી અવગત કરાવવું તે અસ્થાને હોવાનુ કહી રહ્યાં છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમનો ડર દૂર કરવા અથવા તો નીડરતાની વાતને મૂકવા માટે અલગ અલગ પાત્રો હોઈ શકે અથવા તો અલગ વિષયવસ્તુ હોઈ શકે પરંતુ ભૂત જેવા પાત્રને સ્થાન આપવું એ યોગ્ય નથી


ચાલુ વર્ષે શિક્ષણ વિભાગે ધોરણ છ માં ગુજરાતી વિષયની પલાસ નામની પુસ્તક અજમાઇશી ધોરણે અમલમાં મૂકી છે. જેમાં પ્રકરણ કરતાં વધારે એક્ટિવિટી પર ભાર મૂકવામાં આવે છે. પરંતુ એક્ટિવિટીના ચક્કરમાં વિદ્યાર્થીઓને ગુજરાતના પ્રસિદ્ધ અને જાણીતા કવિ અથવા તો લેખકના પરિચયથી દૂર રાખવામાં આવ્યા હોય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે આ પુસ્તકમાં 8 જેટલા પ્રકરણ છે જેમાં મુખ્ય પ્રકરણમાં માત્ર ઝવેરચંદ મેઘાણીના પુસ્તક પર આધારિત એક પ્રકરણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પુસ્તકમાં જે વિષયવસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે તે જાણે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે હોય એ પ્રકારનું લેવલ હોવાનું જાણકારો કહી રહ્યા છે. 


આ ઉપરાંત ગુજરાત પ્રાથમિક વિભાગમાં વિદ્યાર્થીઓ સમજી શકે ગ્રહણ કરી શકે એ પ્રકારનો વિષયવસ્તુ હોવો જોઈએ. જો કે આ પુસ્તકમાં વિદ્યાર્થીઓને સમજવામાં પણ અગવડતા પડી શકે છે. સાથે જ વિદ્યાર્થીઓને ભૂત જેવા પાત્ર અથવા તો વિષય વસ્તુ થી દૂર રખાય તે હિતાવહ માની રહ્યા છે. વાત માત્ર આટલેથી નથી અટકતી. પુસ્તકમાં જે વિષયવસ્તુ આપવામાં આવી છે કે પ્રકરણ સમાવેશ કરવામાં આવે છે તેના સંદર્ભો પણ નથી આપવામાં આવ્યાં. જેમ કે, જે ભૂતનું પ્રકરણ લેવામાં આવ્યું છે તે મૂળ જાપાનની એક પુસ્તકમાંથી લેવામાં આવી છે પરંતુ તેના આગળ પાછળ કે તે સંદર્ભે કોઈ પણ પ્રકારની માહિતી કે વિગતો નથી આપવામાં આવી. 


જેથી શિક્ષકોએ જ પુસ્તકને સમજવામાં અગવડતા પડી રહી છે જ્યારે શિક્ષકો જ ખુદ અવઢવમાં હોય તો વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવી શકે. સાથે સાથે પ્રાથમિક વિભાગ એટલે ધોરણ એક થી છ માં ગુજરાતી વિષયના પુસ્તકને આકર્ષક બનાવવા જે પ્રયોગ કરવામાં આવ્યો છે અને ગુજરાતીની સ્થાને અન્ય ટાઈટલ આપવામાં આવ્યું છે જેને પણ જાણકારો અયોગ્ય માની રહ્યા છે.