અમદાવાદઃ  વડા પ્રધાન નરેંદ્ર મોદીએ શનિવારે દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી હતી. કોરોનાની રસી સૌથી પહેલાં હેલ્થ વર્કર્સને અપાઈ રહી છે અને પહેલા તબક્કામાં ડોક્ટર્સ સહિતના હેલ્થ વર્કર્સને રસી અપાઈ છે. અમદાવાદમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન (આઈએમએ)નાં ભૂતપૂર્વ પ્રમુખ ડો. મોના દેસાઈએ પણ શનિવારે કોરોનાની રસી લીધી હતી.


ડો. મોના દેસાઈએ રવિવારે જણાવ્યું કે, કોરોનાની વેકસીન લીધા બાદ 24 કલાક પછી પણ કોઈ આડઅસર નથી અને મને કોઈ તકલીફ નથી. ડો.મોના દેસાઈએ કહ્યું કે, જ્યાં રસી મૂકવામાં આવી ત્યાં પણ કોઈ સમસ્યા નથી થઈ. આ ઉપરાંત ડોક્ટરોએ ચેતવણી આપી હતી એ રીતે ઝીણો તાવ, અશક્તિ જેવી પણ કોઈ સમસ્યા સર્જાઈ નથી.

તેમણ કહ્યું કે, કોરોનાની કોવિશિલ્ડ રસી લીધા બાદ ચક્કર આવવાની પણ સ્થિતિ નથી. તેમણે કહ્યું કે, કોરેનાની રસી લેનારા અન્ય તબીબો સાથે પણ સંપર્ક હતા અને તેમને પણ કોઈ આડઅસર નથી. જો કે તેમણે કહ્યું કે, ડાયાબીટીસ અને બ્લડપ્રેશર ધરાવતા નાગરિકોને ખાસ વિનંતી છે કે, જે પણ દવા તબીબોએ આપી હોય તેનો ડોઝ લીધા બાદ જ વેકસીન લેવા જવું.