અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસના આજે નવા 58 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 929 પર પહોંચી છે. અમદાવાદમાં 53 નવા કેસ નોંધાયા છે. સુરતમાં બે કેસ, રાજકોટમાં એક કેસ, વડોદરામાં એક કેસ અને અરવલ્લી જિલ્લામાં એક કેસ નોંધાયો છે. રાજ્યના 24 જિલ્લામાં કોરોનાનો પગપેસરો થયો છે. અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. રાજ્યમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક 36 પર પહોંચ્યો છે.


રાજ્યમાં કોરોના વાયરસને લઈને અમદાવાદની સ્થિતિ અતિ ગંભીર છે. ગુજરાતમાં નોંધાયેલા કોરોના વાયરસના કુલ 929 કેસમાં માંથી એકલા અમદાવાદમાં 545 કેસ છે.

ગુજરાતના કુલ દર્દીઓ પૈકી 59 ટકા દર્દીઓ અમદાવાદના છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 17 લોકોના મોત થયા છે,જ્યારે 21 લોકો સ્વ્સ્થ થયા છે.

કોરોના વાયરસના કારણે બગડી રહેલી સ્થિતિને જોતા અમદાવાદને લોકડાઉનમાંથી રાહત મળે તેવી શક્યતા નહીવત છે. અમદાવાદના મેયર અમદાવાદની સ્થિતિ અતિ ગંભીર હોવાનું નિવેદન આપી ચૂક્યા છે.

આરોગ્ય સચિવ જયંતી રવીએ માહિતી આપતા કહ્યું, આવતીકાલ સાંજ સુધીમાં રેપિડ કિટ આવી જશે, જેથી ગુજરાતમાં ટેસ્ટિંગ વધુ કરી શકીશુ.

કોરોના વાયરસના કારણે અમદાવાદ છેલ્લા 24 કલાકમાં 95 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 545 પર પહોંચ્યો છે.