અમદાવાદઃ દિવાળી પછી ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે કોરોનાની રસીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2021મા જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં રસી આપવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. કોરોના વેકસીન માટે કેન્દ્ર સરકાર દ્વારા જડબેસલાક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આરોગ્ય કર્મચારીને નાનામાં નાની તમામ વિગતો સાથે ફોર્મ ભરીને વેકસીન ટાસ્ક ફોર્સ સમક્ષ રજુ કરવાનું રહેશે.


કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપવાની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જડબેસલાક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અમદાવાદમાં અંદાજીત અઢી લાખથી વધુ આરોગ્ય કર્મચારીઓ, હોસ્પિટલ ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓને વેકસીનેશન આપવાની પ્રક્રિયા જાન્યુઆરીના મધ્ય સપ્તાહમાં શરૂ થઈ શકે છે.

વેકસીન ટાસ્ક ફોર્સ દ્વારા તમામ સરકારી અને ખાનગી તબીબોને હાલ પોતાના એકમમાં કાર્યરત આરોગ્ય કર્મચારીઓની યાદી માટે જણાવવામાં આવ્યું છે. જેમાં એક આરોગ્ય કર્મચારીએ પોતાના આધાર કાર્ડથી લઈને મોબાઇલ નંબર સુધીની તમામ વિગતો ફોર્મમાં ભરવાની રહેશે. જેની યાદી કેન્દ્ર સરકાર માં પહોંચાડવામાં આવશે.

કેટલી સુરક્ષિત રીતે વેકસીનેશન માટેની કામગીરી કરવામાં આવશે?

-20 બોક્સ ધરાવતી એક્સેલ શીટ રાજ્યસરકાર દ્વારા સંકલન સાધીને હોસ્પિટલના સંચાલકોને આપવામાં આવશે
-આરોગ્ય કર્મચારીઓએ આ શીટમાં ઘરનું સરનામું,મોબાઈલ નંબર,આધાર કાર્ડ નંબર સહિત તમામ વિગત ભરવાની રહેશે
-આરોગ્ય કર્મચારીની યાદી પર પરિવારજનો વેકસીનેશન ન કરાવે તેના પર પણ રખાશે નજર
-વેક્સિન પર આપવામાં આવેલા બારકોડ દ્વારા આધાર કાર્ડ નંબરને જોડવામાં આવશે
-આધાર કાર્ડના સ્કેનર નંબર સાથે વેકસીનનો સ્કેન નંબર મેચ થયા બાદ વેકસીન આપવામાં આવશે.