અમદાવાદઃ બિપરજોય વાવાઝોડુ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વિનાશક વાવાઝોડું દ્વારકાથી 290, તો પોરબંદરથી માત્ર 300 કિ.મી દૂર છે. વાવાઝોડું નજીક આવતા જ દરિયો વધુ તોફાની બન્યો હતો. કચ્છથી લઈને દીવ,દમણ સુધી દરિયામાં 30 ફુટ સુધીના ઉંચા મોજા ઉછળ્યા હતા. દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. ભારે પવનથી અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયાની ઘટના બની છે.


અમદાવાદમાં પણ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ રિવરફ્રંટ પર વોટર એક્ટિવિટી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આગામી પાંચ દિવસ સુધી એક્ટિવિટી બંધ રહેશે. ફ્લોટિંગ બોટ, વોટર સાયકલ સહિતની એક્ટિવિટી બંધ કરી દેવાઇ હતી. સાધનોને રિવરફ્રન્ટ કિનારે બાંધી દેવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં વાવાઝોડાની અસર જોઈને નિર્ણય કરાશે. લોઅર પ્રોમીનાડ ખુલ્લો રાખવો કે કેમ તે અંગે નિર્ણય લેવાશે.


બિપરજોય વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળશે. હવામાન વિભાગની આગાહીના પગલે આગામી પાંચ દિવસ વોટર એક્ટિવિટી બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટરોને તેમના સાધન પાણીની બહાર કાઢી લેવા માટે સૂચના આપવામાં આવી છે. જેના કારણે કોન્ટ્રાક્ટરો દ્વારા નદીમાંથી વોટર એક્ટિવિટીના સાધન બહાર કાઢવામાં આવ્યા છે.


અંબાલાલ પટેલની મોટી આગાહી


વાવાઝોડું કચ્છમાં લેન્ડફોલ કરશે ત્યારે તે વેરી સિવિયર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે પ્રચંડ શક્તિશાળી ચક્રાવાત રહેશે જેના પગલે સમગ્ર કચ્છ,દ્વારકા, જામનગર જિલ્લામાં રેડ એલર્ટ અને સૌરાષ્ટ્રના બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. આ દરમિયાન હવામાન અંબાલાલ પટેલે આંકલન કર્યું છે.


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આંકલન કર્યું કે, પશ્ચિમ-ઉત્તરના ભાગોમાં ભારે પવન ફુંકાઈ શકે છે. વાવાઝોડાનું જોખમ જખૌ બંદર પર છે. પૂર્વ ગુજરાત અને રાજસ્થાનના ભાગો પર પણ વાવાઝોડાની અસર થશે. મધ્ય ગુજરાતમાં પણ પવનની અસર થશે. માર્કેટ યાર્ડમાં પડેલ જણસની ખાસ કાળજી લેવી પડશે.


સૌરાષ્ટ્રમાં વરસી રહ્યો છે ભારે વરસાદ


અરબી સમુદ્રમાં વાવાઝોડુ 'બિપરજોય' તેના બાંગ્લા ભાષામાં અર્થ મૂજબ સૌરાષ્ટ્ર માટે વિપત્તી સાબિત થયું છે. દરિયામાં 900 કિલો મીટરનું અંતર કાપીને હવે 190 કિલોમીટરની અતિશય જોખમી ઝડપ સાથે કલાકના 4 કિમીની ગતિએ પોરબંદરથી 290, દ્વારકાથી 300, જખૌ પોર્ટથી 360 અને નલિયાથી 370 કિલોમીટર દૂરના અંતરે છે.


વાવાઝોડાની તિવ્ર અસરના કારણે સોમવારે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તેજ પવન સાથે ધોધમાર 8 ઈંચ વરસાદ પડ્યો. હવામાન વિભાગ પ્રમાણે 15 જૂન અને ગુરુવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 150 કિમીની વિનાશકારી વાવાઝોડું ગતિ સાથે કચ્છના જખૌ બંદરે ત્રાટકશે. જે બાદ તારીખ 24 કલાક સુધી કચ્છને ઘમરોળશે અને રાજસ્થાન તરફ આગળ વધશે