Kejariwal Gujarat Visit: ગુજરાતમાં રાજ્ય સભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા તમામ રાજકીય પાર્ટીઓ મેદાનમાં આવી ગઈ છે અને પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. તો બીજી તરફ આ વખતે પહેલીવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંપલાવવા જઈ રહેલી આમ આદમી પાર્ટી પણ આ પ્રસંગે કોઈ કસર છોડવા માગતી નથી.


આ વાતનો ખ્યાલ એ વાત પરથી આવી જાય છે કે, આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ફરી 3 જુલાઈએ ગુજરાત આવશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આ પહેલા પણ અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા અને મહેસાણામાં જંગી સભાને સંબોધન કર્યું હતું. હવે ફરી એકવાર કેજરીવાલ ગુજરાત આવે તેવી શક્યતા છે. જેને લઈને રાજકારણ ગરમાયું છે. મળતી માહિતી પ્રમાણે અરવિંદ કેજરીવાલ 2 દિવસના અમદાવાદ પ્રવાસે આવી શકે છે. ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા ચાલતા વીજળી આંદોલનમાં કેજરીવાલ જોડાઈ તેવી શક્યતા છે. દિલ્હી સીએમ અમદાવાદ અથવા આસપાસના વિસ્તારમાં જાહેરસભા સંબોધી શકે છે. નોંધનિય કે, આપ દ્વારા ઘણા સમયથી શિક્ષણ અને વીજળી મુદ્દે ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કરી રહી છે.


મનીષ સિસોદિયા વિરુદ્ધ વધુ એક માનહાનિનો કેસ


દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ વધુ એક માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ 30 જૂનના રોજ કામરૂપ (ગ્રામીણ)માં CJM કોર્ટ સમક્ષ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ પહેલા સીએમ હિમંત બિસ્વા સરમાની પત્ની રિંકી ભુઇયા સરમાએ પણ મનીષ સિસોદિયા વિરુદ્ધ સિવિલ જજ કોર્ટમાં 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે.


શું છે કેસ?


વાસ્તવમાં, આમ આદમી પાર્ટી (AAP)ના નેતા મનીષ સિસોદિયાએ 4 જૂને એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે જ્યારે ભારત 2020માં કોરોના મહામારી સામે લડી રહ્યો હતો ત્યારે આસામના સ્વાસ્થ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ તેમની પત્ની અને પુત્રના ટ્રેડિંગ પાર્ટનર્સની કંપનીઓને PPE કિટ સપ્લાય કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. જો કે, આસામ સરકારે એવા આરોપોને નકારી કાઢ્યા છે કે મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાનો પરિવાર કોરોના મહામારી દરમિયાન PPE કિટના સપ્લાયમાં કથિત ગેરરીતિમાં સામેલ હતો.


હિમંત બિસ્વા સરમાએ ચેતવણી આપી હતી


હાલમાં રાજ્યના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આ આરોપો બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરવાની ધમકી આપી હતી. શર્માએ ટ્વીટમાં કહ્યું હતું કે આસામ પાસે ભાગ્યે જ કોઈ PPE કિટ હતી. તેમણે કહ્યું, 'મારી પત્નીએ આગળ આવવાની હિંમત બતાવી અને સરકારને લગભગ 1500 કિટ દાનમાં આપી હતી. સરમાની પત્ની રિંકી સરમા જેસીબી ઈન્ડસ્ટ્રીઝમાં ભાગીદાર છે.