Ahmedabad to Ayodhya Flight: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય તે અગાઉ જ અમદાવાદથી અયોધ્યા સુધીની સીધી હવાઈ સેવાનો પ્રારંભ આજથી થવા જઈ રહ્યો છે. મંગળ, ગુરૂ અને શનિવાર એમ અઠવાડિયાની ત્રણ દિવસની આ સીધી હવાઈ સેવા ઈન્ડિગો શરૂ કરી રહી છે. જો કે આ પહેલી ફ્લાઈટ થોડા સમય બાદ એટલે કે નવ વાગ્યેને દસ મિનિટે ટેકઓફ થશે. પરંતુ સીધી હવાઈ સેવા શરૂ થવાનો આનંદ અને પ્રથમ ફ્લાઈટમાં જ મુસાફરી કરવાનો જબરદસ્ત ઉત્સાહ યાત્રીઓમાં જોવા મળ્યો છે.  કેટલાક યાત્રીઓ રામ,લક્ષ્મણ જાનકી અને બજરંગ બલીના પરિવેશમાં જોવા મળ્યા હતા. તો સાધુ સંતો પણ પ્રથમ ફ્લાઈટમાં સવાર થઈને અયોધ્યા પહોંચી રહ્યા છે.


અમદાવાદ અયોધ્યાની ફ્લાઈટ માટે પહેલા ભાડું 3999 રૂપિયા નક્કી કરવામાં આવ્યુ હતું. જોકે મુસાફરોનો ધસારો હોવાના કારણે ફ્લાઈટનાં ભાવ આસમાને પહોંચી ગયા છે. હાલમાં 13799 ભાડું ચૂકવવું પડશે. અમદાવાદ અયોધ્યા ની ફ્લાઈટ હાઉસફુલ જઈ રહી છે. વિદેશથી આવેલા લોકો પણ જ્ય શ્રી રામના નારા લગાવી રહ્યા છે.


દિલ્હી અને અયોધ્યા વચ્ચે 6 જાન્યુઆરીથી કોમર્શિયલ ફ્લાઈટ્સ શરૂ થઈ હતી. દિલ્હીથી અયોધ્યા જવામાં 1.20 મિનિટનો સમય લાગશે. જો કે આ પછી 10 જાન્યુઆરીથી અયોધ્યા-દિલ્હી વચ્ચે નિયમિત ફ્લાઈટ શરૂ થશે.


10 જાન્યુઆરીથી ઈન્ડિગો એરલાઈન્સની સેવા રામ ભક્તોને દિલ્હીથી અયોધ્યા અને અયોધ્યાથી દિલ્હી લાવશે. તાજેતરમાં 30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેનું નામ મહર્ષિ વાલ્મીકિના નામ પર રાખવાની જાહેરાત કરી હતી. 11 જાન્યુઆરીથી અમદાવાદથી અયોધ્યાની ફ્લાઈટ પણ શરૂ થશે.


ટૂંક સમયમાં અન્ય શહેરોમાંથી પણ ફ્લાઈટ્સ શરૂ થશે


ટૂંક સમયમાં અયોધ્યાને દેશના અન્ય મોટા શહેરો મુંબઈ અને બેંગ્લોર સાથે જોડવાની તૈયારીઓ ચાલી રહી છે. આ શહેરોમાંથી પણ ટૂંક સમયમાં ફ્લાઈટ્સ શરૂ થશે. બેંગલુરુ અને મુંબઈ જેવા શહેરોથી પણ અયોધ્યા માટે સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. ઈન્ડિગોએ 15 જાન્યુઆરીથી મુંબઈ અને અયોધ્યા વચ્ચે કનેક્ટિવિટીની જાહેરાત કરી છે. જે બાદ મુંબઈના લોકો પણ સીધા અયોધ્યા પહોંચી શકશે.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બરે અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યારબાદ તેમણે તેને મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ નામ આપવાની જાહેરાત કરી હતી. આ અંગે પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર લખ્યું, અમારી સરકાર ભગવાન શ્રી રામની પવિત્ર નગરી અયોધ્યાને સમગ્ર વિશ્વ સાથે જોડવા માટે પ્રતિબદ્ધ છે. આ શ્રેણીમાં અહીંના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવાની સાથે તેને 'મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાધામ' નામ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ પગલું સમગ્ર દેશમાં અમારા પરિવારના સભ્યો વતી મહર્ષિ વાલ્મીકિજીને આદરપૂર્વકની શ્રદ્ધાંજલિ છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે, આ દિવસે મોટી સંખ્યામાં VVIP મહેમાનો અહીં પહોંચશે. આવી સ્થિતિમાં અહીં ઘણી હલચલ જોવા મળી શકે છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિર તમામ ભક્તો માટે ખોલવામાં આવશે. આ દરમિયાન અહીં મોટી સંખ્યામાં રામભક્તો આવવાની સંભાવના છે, આ તમામને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.