અમદાવાદઃ કચ્છના નાના અંગીયા ગામનો 23 વર્ષના એન્જિનિયર યુવકને ઇસ્કોન મંદિરના સાધુ જયતીર્થ ચરણ સ્વામીએ ગોંધી રાખ્યાનો આક્ષેપ સાથે ગઈ કાલે યુવાનના પરિવારજનોએ એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન મંદિર બહાર વિરોધ શરૂ કર્યો હતો. યુવક ગુમ થઈ ગયા પછી જયતીર્થ ચરણ સ્વામીએ ગોંધી રાખ્યો હોવાનો યુવાનના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો. તેમનો આક્ષેપ હતો કે, ઇસ્કોનનાં સાધુ સતત આ છોકરાના સંપર્કમાં હતા. તેઓએ જ તેને સંપ્રદાયમાં રાખ્યો હોવાનું જણાવ્યું હતું.


આ સમગ્ર બાબત સામે આવતા ગુમ થયેલા યુવક દર્શન પારસિયાએ વીડિયો જાહેર કરી કહ્યું હતું કે, હું મારી મરજીથી આધ્યાત્મિક જીવન માટે મથુરાના બરસાના ખાતે આવ્યો છું અને આમ જ ફરતો રહીશ. હું આજે રાતે અહીંયાંથી નીકળી જવાનો છું. હું કોઈના દબાણથી નથી આવ્યો અને મેં બરસાના પોલીસ સ્ટેશનમાં મારુ સ્ટેટમેન્ટ લખાવી દીધું છે. કોઈના પર પ્રેશર ન નાખશો અને આ મારી જ મરજીથી કરી રહ્યો છું.



ગઈ કાલે યુવાનના પરિવારજનોએ એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન મંદિર બહાર ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ શરૂ કર્યો હતો. હાથમાં પોસ્ટર સાથે પરિજનો અને સામાજિક આગેવાનો વિરોધમાં જોડાયા હતા. ગુમ યુવાન ફોન પર વાત કરે છે પરંતુ સામે આવી રહ્યો નથી.

ઇસ્કોન મંદિર તરફથી ખોટા આક્ષેપ થઈ રહ્યા હોવાનું તેમજ સ્વામી જયતીર્થ ચરણદાસે દર્શનને ઘરે જવા કહ્યું હતું પરંતુ તે બીજે જતો રહ્યો હતો, તેમ જણાવાયું હતું. તેમણે જણાવ્યું હતું કે, મંદિરમાં તેને રહેવાની ના પાડી હતી અને બીજા દિવસે તેને ઘરે જવા કહેવા છતાં પોતે ઘરે જવાની જગ્યાએ ગુમ થઈ ગયો હતો. અમે દર્શનને ક્યાંય ગોંધી રાખ્યો નથી અને ખોટા આક્ષેપો કરાયા છે.