ગાંધીનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ ઉમેદવારોના માપદંડ નક્કી કરાયા છે. પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સૌથી મોટું નિવેદન આપ્યું છે. 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓને ટિકિટ નહીં અપાય. તેમજ ત્રણ ટર્મથી ચૂંટાનાર સભ્યોને ટીકિટ નહીં અપાય. એટલું જ નહીં, હોદ્દેદારો અને આગેવાનોના કોઇ સગાને પણ ટીકિટ નહીં મળે. અગાઉ તેમણે 55 વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં માગવાની ભલામણ કરી ત્યારથી જ પાર્ટીમાં સિનિયર નેતાઓમાં અસંતોષ શરૂ થઈ ગયો હતો.


તસવીરઃ મયુર દવે.

અમદાવાદના ખાડીયા વોર્ડના પૂર્વ કોર્પોરેટર મયૂર દવેએ સી.આર. પાટીલના આ નિર્ણય મુદ્દે વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, મારી ઇચ્છા તો ચૂંટણી લડવાની છે. મેં સેન્સ પ્રક્રિયા દરમિયાન પણ દાવેદારી નોંધાવી હતી. બીજું કે જે સિનિયર કાઉન્સિલરોને પાર્ટી ચૂંટણી નહીં લડાવે, તો કોર્પોરેશનની અંદર અધિકારીઓ બેફામ બની જશે. કમિશનર કોઈને ગાંઠશે જ નહીં. કારણ કે, મને ખબર છે કે, લોકડાઉન દરમિયાન વિજય નેહરા સાહેબ હતા, અમે ફોન કરતા તો ફોન રિસિવ નહોતા કરતા. પછી અમારે ઇ-મેલ કરવા પડતા હતા.

તેમણે ઉમેર્યું હતું કે, સિનિયર કાઉન્સિલરો અનુભવો પણ કામમાં આવશે. એનો લાભ પ્રજાને પણ મળશે અને પાર્ટીને પણ મળશે. બીજા વોર્ડમાં પણ અમે લોકોએ ઉપરવટ જઈને કામ કરાવેલા છે. અમે કમિશનરને કહેતા આ કામ કાયદેસરનું છે, કરવું જ પડશે. અમે ઉપર ઉભા રહીને કામ કરાવડાવીએ છીએ. જે અમારા અનુભવના કારણે કામ થાય છે. જો ચૂંટણી નહીં લડાવે તો આ અનુભવનો પણ નુકસાન થશે.