અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા કોરોના સામે લડી રહી છે. ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટમાં યોજાનારા તમામ તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યા પછી હવે નવરાત્રિ યોજાશે કે નહીં, તેના પર સૌની નજર મંડાયેલી છે. કોરોનાકાળમાં નવરાત્રી યોજાય તો ગરબા અયોજકો એ તૈયારી કરી લીધી છે. આયોજકો સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય તેની માટે ખાસ પગલાં લેશે. ડિજિટલ પાસથી જ એન્ટ્રી મળશે.


ભીડ એકઠી ના થાય તે માટે કોઈ ટીકીટ બારી નહીં રખાય. તેમજ E ટીકીટ થી એન્ટ્રી મળશે. 50 ટકા લોકો સાથે પરવાનગી મળે તેવી માંગ કરવામાં આવી છે. જોકે, હજુ સુધી સરકાર તરફથી આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. અગાઉ સરકાર અને ગરબા આયોજકો વચ્ચે મીટિંગ થઈ હતી, જેમાં કોરોનાની સ્થિતિ આવી જ રહે, તો નવરાત્રિની ઉજવણીની પરવાનગી નહીં આપવાનું સરકારે વલણ અપનાવ્યું હતું.

આ અંગે ગરબા આયોજક ગ્રીષ્મા ત્રિવેદીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે 30 ઓગસ્ટ સુધી કોઈ પણ આયોજનનો નિર્ણય લેવો શક્ય નથી. પરિસ્થિતિ સુધરશે તો સરકાર વિચારશે અને નવી ગાઇડલાઇન આપશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે, 30 ઓગસ્ટ સુધી રાજ્યમાં કોઈ પણ આયોજનની શક્યતા નથી. 30 ઓગસ્ટ બાદ પરિસ્થિતિને ધ્યાને લઈ નવી ગાઈડલાઈન જાહેર કરી શકાય.