Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આવતીકાલે પરિણામ જાહેર થવાનું છે. એવામાં ગુજરાત કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે.  ગુજરાત કોંગ્રેસે પોતાના સંભવિત ધારાસભ્યોને સાચવવાની રણનીતિ ઘડી છે. આવતીકાલે આવનાર પરિણામ અંગે જિલ્લા અને ઝોન મુજબ જવાબદારી  સોંપાઈ છે. જીતનાર ધારાસભ્યોને સૌ પહેલા સાચવવાની જવાબદારી જિલ્લા દીઠ આગેવાનને સોંપાઈ છે. જિલ્લા બાદ ઝોન દીઠ આગેવાનને જવાબદારી સોંપાઈ છે.


જો પાતળી સરસાઇ આવે તો અપક્ષ અથવા અન્ય ધારાસભ્યોને લાવવાની પણ આગેવાનોને જવાબદારી સોંપાઈ છે.  રાષ્ટ્રીય કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ આવતીકાલે અમદાવાદમાં હાજર રહેશે. બીકે હરિપ્રસાદ અને મુકુલ વાસનીક આવતીકાલે અમદાવાદમાં હાજર રહેશે.  જરૂર પડે ચૂંટાયેલા ધારાસભ્યોને રાજ્ય બહાર લઈ જવાની પણ  વ્યવસ્થા કરાઈ છે.  જેમને જવાબદારી સોંપાઈ છે તેમને જે સૂચના મળે ત્યાં ધારાસભ્યોને પહોંચાડવાના રહેશે.


બીજેપીને આમ આદમી પાર્ટી હરાવી શકે છે: ગોપાલ ઈટાલિયા


દિલ્લી MCD માં આમ આદમી પાર્ટીને ભવ્ય જીત મળી છે.  તમને જણાવી દઈએ કે, છેલ્લા 15 વર્ષથી એમસીડીમાં બીજેપીની સત્તા હતી. હવે આમ આદમી પાર્ટીએ 134 બેઠક જીતી બીજેપીના વિજય રથને રોક્યો છે. આ જીત બદલ આમ આદમી પાર્ટી દિલ્લીથી લઈને ગુજરાત સુધી ઉજવણી કરી રહી છે.  તો બીજી તરફ સુરતમાં ગોપાલ ઈટાલિયાએ એમસીડી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલા વિજયને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી.


આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, મહામંત્રી મનોજ સોરઠીયા અને અલ્પેશ કથીરીયા હાજર રહ્યા હતા.  આ અવસરે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, એક નાની પાર્ટીએ મોટી પાર્ટીને હરાવી છે. આ જીત માટે તમામ લોકોને શુભેચ્છા પાઠવું છું. આપ રાષ્ટ્રીય પાર્ટી તરીકે ઉભરી રહી છે.
દિલ્લી MCD ના પરિણામો એ સાબિત કરી બતાવ્યું છે કે બીજેપીને હરાવી શકાય છે.


ગોપાલ ઈટાલિયાએ ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આવતીકાલના પરિણામ પણ બતાવશે કે બીજેપીને રોકવામાં આપ સક્ષમ છે. આવતીકાલે ગુજરાતની જનતા પ્રેમ વરસાવશે. ગુજરાતની જનતાએ રાષ્ટ્રીય પાર્ટી બનાવી દીધી છે. જે આવતીકાલે સાબિત થશે. સર્વેમાં આપને 20% વોટ શેર મળ્યા છે.


અલ્પેશ કે કુમાર ભાઈ નહીં વરાછાની જનતા જીતશે


ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આવતીકાલે પરિણામ જાહેર થશે. ગુજરાતમાં સોમવારે બીજા તબક્કાના મતદાન બાદ આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં સતત 7મી વખત ભાજપની સરકાર બનવાની આગાહી કરવામાં આવી છે. મતદાન પૂર્ણ થયા અને એક્ઝીટ પોલ બાદ સટ્ટા બજારમાં પણ ભાજપના પ્રચંડ બહુમતના સંકેત છે.  સટ્ટોડીયાઓના મતે ભાજપને 140-142 બેઠક તો આપને 4-6 બેઠક અને કોંગ્રેસને 30-34 બેઠક મળવાનું અનુમાન છે. બીજા તબક્કાના મતદાન અગાઉ સટ્ટાબજારનું સેશન ભાજપને 137-139નું હતું જે વધીને 140-142નું થયું છે.


આજે સુરતમાં વરાછા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ  એબીપી અસ્મિતા સાથે વાત કરી. જેમાં તેણે જીતનો દાવો કરી કહ્યું, કોઈ ટેન્શન નથી. વરાછાની બેઠક જીતીએ છીએ. આ ઉપરાંત તેમણે કહ્યું 2017માં જે માહોલ હતો તેના કરતા વિપરીત માહોલ છે, 2017માં પણ પાસ સમીતિમાં સક્રિય હતી ત્યારે અમે કહેતા ભાજપ વિરુધ્ધ વોટ કરો પણ  2022માં લોકો કહે છે વોટ તો અલ્પેશને આપીશું. પરિણામમાં અલ્પેશ કે કુમાર ભાઈ નહીં વરાછાની જનતા જીતશે.