અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણી પછી કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતાં કોંગ્રેસના ધારાસભ્યો અને તેમના સંપર્કમાં આવેલા લોકોની ચિંતામાં વધારો થયો છે. ભરતસિંહ પછી વડોદરા શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ મૌલિન વૈષ્ણવ અને જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ ભરતિંસહના સંપર્કમાં આવ્યા હતા. જેમને પણ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. આજે અમિત ચાવડાનો કોરોનાનો રિપોર્ટ આવી ગયો છે. જે નેગેટિવ આવ્યો છે.


નોંધનીય છે કે, કૉંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકી કોરોનાગ્રસ્ત થતા તેમના સંપર્કમાં આવનાર ચૂંટણી પંચના અધિકારીઓ, કર્મચારીઓ અને ધારાસભ્યો ક્વોરંટાઈન થવાના શરૂ થયા છે. રાજ્યસભાની ચૂંટણીમાં સોલંકીના સીધા સંપર્કમાં રહેલા કર્મચારીઓને 7 દિવસ માટે સેલ્ફ ક્વોરન્ટાઈન થવાની સૂચના આપવામાં આવી છે.

ચૂંટણી પ્રક્રિયામાં ભરતસિંહ સોલંકીના સીધા સંપર્કમાં આવેલા મુખ્ય નિર્વાચન અધિકારી એસ. મુરલી ક્રિષ્ણન અને ચૂંટણી અધિકારી ચેતન પંડ્યા સેલ્ફ ક્વોરંટાઈન થયા છે. તો કૉંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, અમદાવાદ બાપુનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, વિરમગામના એક ધારાસભ્ય, શક્તિસિંહ ગોલિહ, સૌરાષ્ટ્રના એક ધારાસભ્ય પણ ક્વોરંટાઈન થયા છે.