અમદાવાદઃ ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) વકર્યો છે. રોજ કોરોનાના કેસ નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં કોરોનાની વકરેલી સ્થિતિ મુદ્દે હાઇકોર્ટે (High Court) સુઓ મોટો કરેલી જાહેર હિતની અરજી પર સુનાવણી શરૂ કરી છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે તેને જોતાં રાજ્યમાં ફરી લોકડાઉન લાદવામાં આવી શકે તેવી અટકળો પણ થઈ છે.  દરમિયાન રૂપાણી સરકારે (Rupani Government) આજે હાઈકોર્ટમાં કહ્યું  લોકડાઉનનો વિચાર નથી.લોકડાઉન (Lockdown) વિકલ્પ નથી. ગરીબ માણસોને ઘણી તકલીફો પડશે. સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરી રહ્યા છીએ. ગુજરાતમાં સ્થિતિ ખરાબ છે, પણ બાકી રાજ્યો કરતા સારું કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ. કોર્ટે રાજ્યમાં થઈ રહેલા કોરોના કેસને લઈ સરકારનો ઉધડો લીધો હતો.


કોર્ટે કહ્યું અત્યારે સામાન્ય માણસને ટેસ્ટ (Corona Test)  કરાવવાનો થાય તો ત્રણ દિવસે ટેસ્ટ થાય છે અને પાંચ દિવસ રિપોર્ટ આવે છે,આવી સ્થિતિ શા માટે. તમારે મારે કે સરકારી વકીલને ટેસ્ટ કરાવવા હોય તો કદાચ એક દિવસમાં કરી આપતા હશે પણ સામાન્ય માણસને આજે પણ ત્રણ ત્રણ દિવસ રાહ જોવી પડે છે. શું આપને આ ખબર છે?


ગુજરાતમાં હજુ પણ એવા તાલુકાઓ અને જગ્યાઓ છે જ્યાં ટેસ્ટ નથી થતા. દરેક મહામારી ઓછામાં ઓછી ત્રણ વર્ષ ચાલી હોય આવો ઇતિહાસ છે એટલે કોરોના મહામારી ક્યારે જશે એ હાલ કહી શકાય નહીં. રસીના બે ડોઝ લીધા પછી પણ મૃત્યુ થયું હોય તેવા કિસ્સાઓ છે. રસી મદદ ચોક્કસ કરે છે પણ તકેદારી રાખવી જરૂરી છે.


ચીફ જસ્ટિસે કહ્યું,  તમે કહો છો એ ઠીક છે પણ સ્થિતિ ખરાબ છે. તમે જે ચિત્ર બતાવો છો એને જોતા અમે આજે આ બેન્ચ બોલાવવાની જરૂર નથી એવું લાગે. પણ એવું નથી સ્થિતિ ખરાબ છે. બીજા રાજ્યોમાં શું ચાલે છે એની સરખામણીના કરો. ગુજરાતમાં શું થઈ રહ્યું છે એની ચિંતા કરવાની જરૂર છે. અમે કેન્દ્ર સરકારને પણ કહીશું કે દેશભરની સાથે ગુજરાતમાં પણ જરૂર હોય તેમાં મદદ કરે.


ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ


રાજ્યમાં કોરોનાને લઈ ભયાવહ સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે.  રવિવારે 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 5469 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 54નાં મૃત્યુ થયા હતા. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4800 પર પહોંચ્યો છે. રાજ્યમાં ગઈકાલે 2976 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,15,127 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 27000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 27568 પર પહોંચ્યો છે. જેમાંથી 203 લોકો વેન્ટિલેટર પર અને 23365 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 90.69 ટકા છે.