અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા મનપા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.  વધતા જતા  કોરોનાના કેસના  કારણે AMC દ્વારા 8 વોર્ડમાં રાત્રે ખાણીપાણી બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. શહેરના 8 વોર્ડમાં રાત્રે 10 વાગ્યા બાદ ધંધાકીય એકમો બંધ રાખવાનો આદેશ કરાયો છે. 


અમદાવાદમાં વધતા કેસ મુદ્દે AMCએ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાત્રે 10 વાગ્યાથી શહેરમાં ખાણીપાણી બજાર બંધ કરાશે. 8 વોર્ડમાં રાત્રે ખાણીપાણી બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ 8 વોર્ડમાં પાલડી, જોધપુર, મણીનગર, થલતેજ, ઘાટલોડિયા, નવરંગપુરા,  ગોતા અને બોડકદેવમાં ખાણી-પીણી બજાર રાત્રે બંધ રહેશે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે રાજ્યના મહાનગરોમાં વકરી રહેલા કોરોનાને લઈને ગુજરાતની રૂપાણી સરકારે મોટો નિર્ણય લીધો છે અને જે તે શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જરૂરી પગલા ભરવાની સત્તા મનપા કમિશ્નરોને આપવામાં આવી છે. 


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નાઇટ કર્ફ્યૂની મુદત ગઈ કાલે પૂરી થઈ ગઈ છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળનારી હાઇપાવર કમિટીની મીટિંગમાં નાઇટ કર્ફ્યૂ અંગે નિર્ણય લેવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, કોઈ કારણસર કમનસીબે ગુજરાતમાં ફરીથી કોરોનાના કેસો વધી રહ્યા છે. શહેરોનાં કમિશ્નરોને સૂચના આપી છે, પોતાના શહેરનાં નિર્ણયો કમિશ્નરો લઇ શકે છે.


આજે ગ્રૂપની બેઠકમાં કર્ફ્યૂ અંગે કયો સમય રાખવો, કેટલો સમય રાખવો, કયા વિસ્તારોમાં રાખવો, બીજા શું પગલા લેવા તે અંગેનો નિર્ણય સાંજ સુધીમાં લેવામાં આવશે.


ગુજરાતમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. તેના કારણે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જીસીએ) દ્વારા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી આખરી ત્રણ ટી-20 મેચ પ્રેક્ષકો વગર રમાશે તેવી જાહેરાત કરવામા આવી છે. સોમવારે મોડી રાત્રે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જીસીએ) દ્વારા આ જાહેરાત કરાઈ પણ આ જાહેરાત બહુ મોડી કરાઈ હોવાનો મત છે.


અમદાવાદના મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી બે ટી-20 મેચમાં 1.60 લાખ દર્શકોએ મેચ માણી હતી. પ્રથમ બે ટી-20માં ઉમટેલા 1.60 લાખથી વધુ પ્રેક્ષકો ગુજરાત માટે ખતરો બની શકે છે. બંને મેચમાં મોટા ભાગના દર્શકો માસ્ક વિના અને એકબીજાને અડકીને મેચ જોતા હતા. આ સંજોગોમાં આ 1.60 લાખ લોકો  આગામી દિવસોમાં સુપર સ્પ્રેડર બનીને કોરોના વિસ્ફોટ કરાવે તેવો ખતરો છે. અત્યારે તો આ લોકો કોરોના ના ફેલાવે તેવી પ્રાર્થના કરાઈ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી બે ટી-20 મેચમાં ઉમટેલા 1.60 લાખ દર્શકો પૈકી મોટા ભાગના અમદાવાદના છે તથી અમદાવાદ પર સૌથી મોટો ખતરો છે. અમદાવાદીઓએ પ્રથમ બે ટી-20 મેચથી દૂર રહેવું અને મેચ જોવા જનારા પણ સ્વૈચ્છિક રીતે આઈસોલેશનમાં જાય એ હિતાવહ છે.


ગુજરાત ક્રિકેટ એસોસિયેશન જાહેરાત કરી છે કે 16, 18 અને 20 માર્ચે રમાનારી આખરી ત્રણ ટી-20 મેચ પ્રેક્ષકો વગર રમાશે અને તેઓને ટિકિટના નાણા પરત કરવામાં આવશે. આ નાણાં કઈ રીતે પાછાં અપાશે તે અંગેની જાહેરાત આગામી એક-બે દિવસમાં કરવામાં આવશે.