અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને લઈને ધીમે ધીમે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. હવે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસો 200ની અંદર આવી ગયા છે. આ સાથે રાજ્યના 13 જિલ્લા કોરોનામુક્ત બની ગયા છે. આ 13 જિલ્લામાં હવે એક પણ એક્ટિવ કેસ નથી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ 4-4 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. આ પછી દક્ષિણ ગુજરાતમાં ત્રણ અને મધ્ય ગુજરાતમાં બે જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો માત્ર 178 જ રહ્યા છે. 


સૌરાષ્ટ્રમાં પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી, મધ્ય ગુજરાતમાં પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, ભરુચ અને નર્મદા જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. 


આ સિવાય વલસાડ, તાપી, મહીસાગર, દેવભૂમિ દ્વારકા, બોટાદ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. કારણ કે આ જિલ્લામા માત્ર 1-1 એક્ટિવ કેસ છે. અત્યારે ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 57 એક્ટિવ કેસ છે. આ પછી વડોદરામાં 44, સુરતમાં 17 અને રાજકોટમાં 11 એક્ટિવ કેસ છે. આ સિવાયના તમામ જિલ્લામાં સિંગલ ડિઝિટમાં એક્ટિવ કેસો છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23 નવા કેસ સામે આવ્યા છે. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું.  રાજ્યમાં હાલ 178 એક્ટિવ કેસ છે અને 7  દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં હાલ કોરોના વાયરસના કેસ સ્થિર થયા છે.  રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 5,97,748 દર્દીઓનું રસીકરણ થયું છે. 


છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 6, વડોદરા કોર્પોરેશનમાં 5, સુરત 3, સુરત  કોર્પોરેશનમાં 3, અમદાવાદ 1, દાહોદ 1, ગીર સોમનાથ 1, જામનગર 1, જૂનાગઢ કોર્પોરેશન, નવસારી  1 કેસ  નોંધાયા છે.  રાજ્યમાંથી વધુ 27 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,14,885 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે. 


એક્ટિવ કેસ (Active Case) ની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 178 એક્ટિવ કેસ છે. જે પૈકી 07 વેન્ટીલેટર પર છે. 171 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,14,885 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10,078 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એકપણ મોત નિપજ્યું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 6 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશન 5, સુરત 3, અમદાવાદ 1, દાહોદ 1, ગીર સોમનાથ 1, જામનગર 1, જુનાગઢ કોર્પોરેશન 1 અને નવસારી 1 એમ કુલ 23 કેસ નોંધાયા છે.  


જો રસીકરણ (Vaccination) ની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 97 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 4726 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 1,27,356 નાગરિકોને રસીનો પ્રથમ અને 61,829 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 3,81,507 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 22,233 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 5,97,748 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં 3,91,88,409 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.