ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના રસીકરણ ચાલી રહ્યું છે, ત્યારે રાજ્યમાં રવિવાર અને બુધવાર એમ બે દિવસ રસી આપવામાં આવતી નથી. જોકે, ગત રવિવારે વેપારીઓ માટે ખાસ રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે હવે આ રવિવારે પણ રસીકરણની પ્રક્રિયા ચાલું રહેશે. જોકે, આ રવિવારે જેમને બીજો ડોઝ બાકી હોય તેમને જ સ્પેશિયલ કેમ્પમાં રસી આપવામાં આવશે. 


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાલ સમગ્ર રાજ્યમા કોરોનાની સ્થિતિ સારી છે. કેસો સતત ઘટી રહયા છે. અનેક ક્ષેત્રોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે તેમજ વેકસીનેશનનું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. આગામી રવિવારે જેમને બીજો ડોઝ બાકી છે તેવા જ વ્યક્તિઓ માટે સ્પેશ્યલ કેમ્પ કરવામાં આવશે. આ રવિવારે બીજા ડોઝ માટે વેકસીનેશનની કામગીરી ચાલશે.


તેમણે જણાવ્યું હતું કે, વેપારીઓ ચાલુ દિવસે વેકસીન લઈ શકે છે. હવે રવિવારે એમના માટે સ્પેશ્યલ દિવસ નહિ હોય. આ રવિવારે માત્ર બીજો ડોઝ માટે જ વેકસીન મળશે. બાકીના સામાન્ય દિવસમાં વેકસીન આપવાનું કામ રાજ્ય સરકાર કરી રહી છે. 


ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 29 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 3,43,742 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


અત્યાર સુધી 260 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 255 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,514 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે આજે એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 29 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. 


રાજ્યમાં રસીકરણ


રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 133 લોકોને પ્રથમ અને 6961 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 66532 લોકોને રસીનો પ્રથમ અને 52139 લોકોને રસીનો બીજો ડોઝ  અપાયો હતો. 18-45 વર્ષના 190462 લોકોને રસીનો પ્રથમ અને 27515 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે રાજ્યમાં આજે કુલ 3,43,742 લોોકનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ગુજરાતનાં કુલ 3,29,58,203 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે.