અમદાવાદઃ શહેરમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીના ત્રાસથી પરિણીત યુવતીએ  7મા માળેથી કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘરમાંથી હાથ પકડીને પ્રેમી પરિણીતાને લઈ જતો હોવાની વિગતો સામે આવી છે. પરિણીતાને પામવા માટે એક તરફી પ્રેમ કરતો યુવક ભિલોડાથી અમદાવાદ આવી રહેવા લાગ્યો હતો. પરિણીતાએ પ્રેમીના ત્રાસના કારણે 7 માં માળેથી કૂદી આપઘાત કર્યો છે. 


આ અંગેની વિગતો એી છે કે, એલિસબ્રિજ  વિસ્તારમાંમાં રહેતી પરિણીત યુવતીને એક તરફી પ્રેમીએ લગ્ન કરવા દબાણ કરતાં પિતાના ભુદરપુરા સ્થિત ઘરની સાતમા માળની ગેલેરીમાંથી પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી હતી. એલિસબ્રિજ પોલીસે આ અંગે આરોપી સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


24 વર્ષીય આરતી ઠાકોરના અરવલ્લી ખાતે રહેતા વિષ્ણુ ઠાકોર સાથે લગ્ન થયા હતા. લગ્ન પછી સાસરીમાં રહેતી આરતીને પાડોશમાં રહેતો દિનેશ આર. બારીયા પતિ વિષ્ણુની ગેરહાજરીમાં ઘરે આવી સંબંધ રાખવા દબાણ કરતો હતો. આ અંગે યુવતીએ તેના પિતના જાણ કરતાં તેમણે જમાઇને આ અંગે વાત કરી હતી. આ પછી તેઓ અમદાવાદ રહેવા આવી ગયા હતા. યુવતી અમદાવાદ આવી જતાં એક તરફી પ્રેમી પણ અમદાવાદ રહેવા આવી ગય હતો. 


એટલું જ નહીં, આરતીના પિતાના ઘરે જઈ તેનો ફોન કર્યો હતો અને તેના ભાઈ અને પિતાને મારી નાંખવાની ધમકી આપી પોતાની સાથે ફરવા આવવા માટે ફરજ પાડી હતી. આમ, દિનેશનો ત્રાસ વધતા યુવતીના પિતાએ દિનેશના પિતાને આ અંગે વાત કરી હતી. જોકે, ગત 27મી જુલાઇએ ફરીથી દિનેશ તેને સાથે લઈ ગયો હતો. જોકે, પતિએ ફોન કરતાં દિનેશ તેને ઘરે પરત મૂકી ગયો હતો. ઘરે આવેલી પત્નીની પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે, તે તેને ફરવા લઈ ગયો હતો અને લગ્ન માટે ધમકી આપી હતી. 


પોતે પરણીત હોવાનું અને એક દીકરો હોવાનું કહેવા છતાં પણ દિનેશે લગ્ન માટે દબાણ કર્યું હોવાનું તેણે પતિને જણાવ્યું હતું. આ પછી રાતે આરતીએ સાતમા માળે મકાનની ગેલેરીમાંથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આ અંગે પિતાએ દિનેશ બારીયા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.