ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજકીય પાર્ટીઓએ અત્યારથી જ કવાયત શરૂ કરી દીધી છે. ગઈ કાલે ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. ગઈ કાલે  તેમણે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સરકાર અને સંગઠનના નેતાઓ સાથે કોર કમિટીની બેઠક કરી હતી. આગામી 15મી તારીખે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે અને ધારાસભ્યોની પણ બેઠક યોજાશે. 


બીજી તરફ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સારા દેખાવ પછી આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સક્રિય થઈ ગઈ છે. તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ કવાયત શરૂ કરી દીધી છે. હવે આગામી 14મી જૂને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કૈજરીવાલ ગુજરાત આવવાના છે.  અમદાવાદ ખાતે તૈયાર થયેલ આમ આદમી પાર્ટીનાં સ્ટેટ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.


નોંધનીય છે કે, કોંગ્રેસમાં પણ આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખની નિયુક્તિ થવાની છે. તેને લઈને પણ કોંગ્રેસના ત્રણ દિગ્ગજોના નામ ચાલી રહ્યા છે. જેમાં અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીના નામ છે. જોકે, અર્જુન મોઢવાડિયા પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જોકે, કોંગ્રેસ હાઇકમાન્ડ કોને જવાબદારી સોંપે છે, તે જોવાનું રહ્યું. એટલું જ નહીં, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને પણ પાર્ટી મોટી જવાબદારી સોંપી શકે છે. 

ગુજરાતના આગામી મુખ્યમંત્રી અને AAPને લઈને ખોડલધામના નરેશ પટેલે શું આપ્યું મોટું નિવેદન?

આજે  ખોડલધામ - કાગવડ ખાતે લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળવાની છે. ત્યારે નરેશ પટેલ ખોડલધામ પહોંચી ગયા છે. તેમણે આજે પાટીદાર અગ્રણીઓની મળનારી બેઠકને લઈને મોટું નિવેદન આપ્યું હતું. 


ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, અમે થોડા દિવસ પહેલા ઉંજા દર્શન કરવા માટે ગયા હતા. ઉંઝામાં જે મુદાઓની ચર્ચા કરી હતી તે મુદાઓની ચર્ચા કરીશું. રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. કેશુભાઈ જેવો આગેવાન હજી સુધી નથી મળ્યો. આપ(આમ આદમી પાર્ટી) જે રીતે કામ કરે છે, તેને ગુજરાતમાં સ્થાન મળી શકે છે. કોણ ન ઈચ્છે પોતાના સમાજ મુખ્યમંત્રી ન હોય. પાટીદાર સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ.


બેઠકમાં વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટ - અમદાવાદ, ઊંઝા, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ - સુરત સહિતની રાજ્યની કડવા પાટીદાર સમાજની ૭ સંસ્થાઓના ટ્રસ્ટીઓ હાજરી આપશે. બેઠકમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, ટ્રસ્ટી રમેશભાઈ પટેલ, સુરતના મથુરભાઇ સવાણી, લવજીભાઈ બાદશાહ,  ઉમિયા ધામ મંદિરના જયરામ ભાઈ પટેલ,  ઊંઝા મંદિરના દિલીપભાઈ નેતા,  સોલા ઊમિયા ધામ કેમ્પસના વાસુદેવભાઈ પટેલ અને રમેશ દૂધવાળા, વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના આર.પી પટેલ તેમજ સરદારધામના ગગજીભાઈ સુતરીયા ઉપસ્થિત રહેશે.


મળતી વિગત મુજબ આજે સવારે 10 વાગ્યે ખોડલધામ ખાતે કડવા પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓ - આગેવાનો કાગવડ ખાતે ખોડલધામ પહોંચશે. અહીં મંદિર ખાતે માતાજીના દર્શન કર્યા બાદ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના લેઉવા પાટીદાર આગેવાનો સાથે કડવા પાટીદાર આગેવાનોની બેઠક યોજાશે. 









બીજી તરફ સૌરાષ્ટ્રમાં પાટીદારોની બેઠક પર સરકારની નજર છે. રાજ્યની ગુપ્તચર એજન્સીઓની બેઠક સક્રિય થઈ છે. બેઠકની તમામ ગતિવિધિઓ પર ગુપ્તચર એજન્સીની નજર છે. રાજ્યના સામાજિક અગ્રણી પાટીદારોની બેઠકને લઈને ગાંધીનગર સતર્ક થયું. નરેશ પટેલ ઉમિયાધામ ગયા બાદ ત્યાંના આગેવાનો ખોડલધામ આવતા હોવાનું કથન છે.