અમદાવાદઃ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધિવત રીતે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિનો ચાર્જ સંભાળી લીધો છે. ગૂજરાત વિદ્યાપીઠના 13માં કુલપતિ તરીકે ચાર્જ સંભાળ્યો છે.  વિદ્યાપીઠના કુલપતિ તરીકે આચાર્ય દેવવરતનો વિરોધ કરનારને જવાબ આપતાં કહ્યું કે,   5માં ધોરણ બાદ મે ગાંધી આશ્રમ સિવાયનું કોઈ વસ્ત્ર પહેર્યું નથી.  અન્ય વસ્ત્ર પહેરતો તો મારું શરીર સ્વીકારતું નથી. મેં પ્રાકૃતિક ચિકિત્સા પણ સ્વીકારી છે.


તેમણે કહ્યું કે, 4 ગુરુકુળમાં મેં પ્રાકૃતિક ચિકિત્સાલય શરૂ કર્યા. પ્રાકૃતિક ખેતી અને ગૌ સંવર્ધન અંગે કામ કર્યું. મેં ભૂતકાળમાં ભીખ માંગી છે. 1998માં મારું મૃત્યુ જાહેર કરી દેવામાં આવ્યું હતું. મારું જીવન ગાંધીજીને સમર્પિત છે. આનાથી વધુ કેટલું મહાત્માને સમર્પિત કોઈ થઈ શકે. આચાર્ય દેવવ્રતે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિનો ચાર્જ સંભાળ્યા બાદ નિવેદન આપ્યું હતું કે, આજે હું અત્યંત ધન્યતા અનુભવું છું. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની સંસ્થા સાથે જોડાયો તેનું ગૌરવ છે. આપ લોકોએ મને આ તક આપી તે માટે આભાર વ્યક્ત કરું છું. ગાંધીજીએ જે ઉદ્દેશ્ય સાથે આ સંસ્થા શરૂ કરી હતી, તે વિચારો લોકો સુધી વધુમાં વધુ પહોંચાડીશું. ગાંધીજી આંદોલનકારી અને આધ્યાત્મવાદી હતા.


તેમણે કહ્યું કે, હિંસા અને અહિંસા બંનેને સમાજમાં લાગુ કરો જે ટકી જાય તે ધર્મ છે. ધર્મ અને હિંસા - અહિંસા સમજાવવું અઘરું છે. હિંસા સ્થાઈ અને ટકી શકે તેવો સિદ્ધાંત નથી. મારા જીવન પર ગાંધીજી અને સ્વામી દયાનંદજી સરસ્વતીનો પ્રભાવ છે.