અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. કોરોનાને કારણે અનેક લોકોને ધંધા-રોજગારમાં માઠી અસર થઈ રહી છે. બીજી તરફ કેટલીય સ્કૂલો દ્વારા બાળકોની સ્કૂલ ફીની માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે આર્થિક ભીંસમાં સપડાયેલા વાલીઓને રાજ્ય સરકારે વાલીઓને મોટી રાહત આપી છે. રાજ્યના શિક્ષણ વિભાગે સ્કૂલ ફી અંગે મહત્વપૂર્ણ ઠરાવ કર્યો છે, જેમાં સ્કૂલોને 22 માર્ચથી શાળા શરૂ થાય ત્યાં સુધી ફી ન માંગવા આદેશ કરાયો છે. જો વાલીઓએ ટયુશન ફી સિવાયની ફી ભરી હોય તો શાળા શરૂ થતા સરભર કરવા આદેશ કરાયો છે.


એટલું જ નહીં, જો ફી ન ભરી હોય તો પ્રવેશ પણ રદ ન કરવા આદેશ કરાયો છે. ઠરાવમાં જણાવ્યું છે કે, કોરોના મહામારીને કારણે 16મી માર્ચછી દેશની તમામ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતર લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. તે સંજોગામાં શાળાઓ બંધ રાખવામાં આવેલ હતી. હાલની પરિસ્થિતિમાં પણ કેન્દ્ર સરકારના આ અંગેના નિર્દેશો મુજબ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા પર પ્રતિબંધ છે.

રાજ્યમાં 8મી જૂનથી શાળાઓનું નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવાની હતું, પરંતુ ઉપરના નિર્દેશો મુજબ શાળાઓ વાસ્તવિક રીતે શરૂ થઈ શકી નથી. જોકે, વિદ્યાર્થીઓને ઘરે બેઠાં શિક્ષણ મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે 5મી જૂનના ઠરાવથી હોમ લર્નિંગ અન્વયે શૈક્ષણિક કાર્ય હાથ ધરવા સૂચનાઓ બહાર પાડી છે. જે તમામ શાળાઓ માટે બંધનકર્તા છે.

શિક્ષણ વિભાગના 17મી જુલાઇ 2020ના નોટીફિકેશનથી વૈકલ્પિક પ્રવૃત્તિ-સુવિધાઓ માટેની ફી અંગે જોગવાઈ કરવામાં આવેલ છે, જે મુજબ જે વિદ્યાર્થી આવી પ્રવૃત્તિનો લાભ લેતા હોય તેઓની પાસેથી જ તે માટેની ફી વસૂલ કરી શકાય છે. હાલ શાળાઓ બંધ હોય શાળા દ્વારા ઇત્તર પ્રવૃત્તિઓ માટે નિયત કરવામાં આવેલી ફી શાળાઓ નિયમિત શરૂ ન થાય ત્યાં સુધી કોઈ વિદ્યાર્થી પાસેથી વસૂલવાની રહેશે નહીં. જો કોી વાલીએ આ પ્રકારની ફી ભરી દીધી હોય તો શાળાઓ નિયમિત શરૂ થાય ત્યારે તે વખતે લેવાની થતી ફીમાં તે રકમ સરભર કરી આપવાની રહેશે. અર્થાત જે સેવાઓ શાળા આપતી નથી તે સેવાઓ માટે કોઈ ફી લઈ શકાશે નહીં.