અમદાવાદઃ ગુજરાતમાં ધોરણ 1થી 5ના શિક્ષકો ધોરણ 6થી 8માં પણ ભણાવતા હોવાના કિસ્સાઓને પગલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.  જેમાં સરકાર દ્વારા મંજૂરી અપાતી હોવાનો દાવો હાઇકોર્ટમાં કરેલી અરજીમાં કરાયો છે. અરજદારનો દાવો છે કે, લાયકાત વગરના ટીચરો પણ શિક્ષણ આપી રહ્યાં છે. જેના અનુસંધાને ધોરણ 1થી 5માં ભણાવતા શિક્ષકો ધોરણ 6થી 8માં ભણતાં બાળકોને ભણાવી શકે નહીં તેવો આદેશ ગુજરાત હાઈકોર્ટે કર્યો છે.


હાઇકોર્ટે અવલોકન કરતા કહ્યું કે, પ્રથમ દર્શનીય રીતે સરકાર બાળકોના શિક્ષણને જોખમમાં મૂકી રહી હોય તેવું જણાઈ આવે છે. ધોરણ 1થી 5માં ભણાવતા શિક્ષકોને ધોરણ 6થી 8માં ભણાવવાની મંજૂરી આપી શકાય નહીં. કોર્ટે એવું અવલોકન કર્યુ છે કે પ્રથમદર્શનીય રીતે સરકાર બાળકોના શિક્ષણને જોખમમાં મુકી રહી હોય તેવુ જણાઇ આવે છે. 1 થી 5માં ભણાવતા શિક્ષકો 6 થી 8 ધોરણ માટે ગેરલાયક હોય છે તેથી તેમને ઉચ્ચ ધોરણોમાં ભણાવવાની મંજૂરી આપી શકાય નહી. તમે અત્યારે આવી મંજૂરી આપી કેવી રીતે શકો? આરટીઆઇનો કાયદો કેવી રીતે આ પ્રકારે મંજૂરી આપતો નથી. તમે કાયદાનો ભંગ કરી રહ્યા છો. કોર્ટે ડિરેકટર ઓફ પ્રાઇમરી એજયુકેશન ઓફિસરને નોટિસ ફટકારીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.


હાઇકોર્ટે સરકાર અને સ્કૂલોની ઝાટકણી કાઢી હતી કે, ગેરલાયક શિક્ષકોને ઉચ્ચ ધોરણોમાં ભણાવવાની મંજૂરી સરકાર પણ કેવી રીતે આપી શકે? હંગામી વ્યવસ્થાની વાત કરો છો પણ એક દિવસ પણ તમારા ગેરલાયક શિક્ષકો ભણાવી શકે નહીં. સ્કૂલો તરફથી એવો બચાવ કરાયો હતો કે, સરકારી ઠરાવને આધારે નિર્ણય લેવાયો છે.