અમદાવાદ: કમોસમી વરસાદથી નુકશાન બદલ સહાય પેકેજ પર ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબાલિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ સહાય અધૂરી અપૂરતી અને ખેડૂતોની મજાક સમાન સહાય છે. ખેડૂતોને સરકારના ઉપકારના પેકેજ રૂપી પોટલાંઓની સહાય નથી જોઈતી. નિયમોનુસાર સહાય આપવામાં આવે.પેકેજના નામે મુળ રકમથી લોકોનું ધ્યાન ભટકાવવાનું કામ સરકાર કરી રહી છે.


ખેડૂતોના કાયદા મુજબ 1,27,200 રૂપિયા હક્કના મળવાપાત્ર છે. 1,27,200 રૂપિયા સામે ખેડૂતોને માત્ર 23 હજાર જ સરકારે આપવાની જાહેરાત કરી છે. જ્યાં SDRF મુજબ મળવાપાત્ર હોય ત્યાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ પણ મળવાપાત્ર છે. સરકાર પાસે ગામ, સર્વે નંબર, ખેડૂતનું નામ બધી જ માહિતી છે. જો બધી માહિતી હોય તો અરજીઓ શા માટે કરાવવામાં આવે છે ? તાલુકા મથકે નોંધાયેલા વરસાદના આધારે સર્વે કરવામાં આવ્યો હતો. તાલુકાના ગામોમાં વરસાદ હોય પણ તાલુકા મથકે ન પણ હોય. કેટલાયે ગામોમાં સર્વે કરવામાં જ નથી આવ્યો તેવા ગામોના ખેડૂતોને સહાય કેમ મળશે ? આ ઉપરાંત ઉનાળુ પાકમાં સર્વે - સહાયની જાહેરાત ક્યારે થશે ? આમ પાલ આંભલિયાએ સરકાર પર પ્રહારો કર્યા હતા.


માવઠાથી થયેલા નુકસાન અંગે સરકારે સહાયની કરી જાહેરાત


ચાલુ વર્ષે થયેલ કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની સંદર્ભે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.   માર્ચ-૨૦૨૩માં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકશાની અન્વયે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં ટોપ-અપ સહાય અપાશે. ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂ.૧૩,૫૦૦ ઉપરાંત વધારાની રૂ.૯,૫૦૦ સહાય સાથે કુલ રૂ.૨૩,૦૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય અપાશે. બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂ.૧૮,૦૦૦ ઉપરાંત વધારાની રૂ.૧૨,૬૦૦ સહાય સાથે કુલ રૂ.૩૦,૬૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય અપાશે.


 



આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ધરતપુત્રોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખેડૂતો માટે અત્યારસુધીની સૌથી વધુ સહાય આપતું વિશેષ રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.









મંત્રીએ ઉમેર્યું હતું કે, ઘઉં, ચણા, રાઈ, કેળ, પપૈયાં વગેરે જેવા ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે SDRFના ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર રૂ.૧૩,૫૦૦ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી અત્યારસુધીની સૌથી વધુ એવી વધારાની રૂ.૯,૫૦૦ પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.૨૩,૦૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે આંબા, લીંબુ, જામફળ જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ  નુકશાનના કિસ્સામાં SDRFના નોર્મસ મુજબ પ્રતિ હેક્ટર  મળવા પાત્ર રૂ.૧૮,૦૦૦ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂ.૧૨,૬૦૦ પ્રતિ હેકટર વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.૩૦,૬૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે. 
 
તેમણે ઉમેર્યું હતું કે, જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે કુલ સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂ.૪૦૦૦ કરતાં ઓછી હશે, તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછી રૂ.૪૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે. જેમાં તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે. આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨ સહિતના જરૂરી સાધનિક પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે, તેમ તેમણે ઉમેર્યુ હતું.