અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટ તરફથી લવ જેહાદ કાયદામાં સરકારને ઝટકો લાગ્યા પછી હવે રૂપાણી સરકારે મોટો નિર્ણય લીધો છે. લવ જેહાદના કાયદા મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. હાઇકોર્ટના સ્ટેને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની સરકારની તૈયારીઓ છે. 


તેમણે જણાવ્યું હતું કે, દીકરીઓ સલામત રહે અને વિધર્મીઓ ખોટી ઓળખ આપીને છેતરામણી ન કરી જાય અને લગ્ન ન કરે તે માટે રાજ્ય સરકારે પસાર કરેલા લવ જેહાદનો મુદ્દો હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જેની સામે રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમકોર્ટમાં જવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હાઇકોર્ટમાં સમગ્ર મુદ્દો પડકારવામાં ન આવ્યો હોવાથી હાલમાં રાજ્યમાં લવ જેહાદનો મુદ્દો અમલી ન થઈ શકવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વીકાર્યું છે.


હાલ હાઇકોર્ટમાં લવજેહાદનો મામલો પહોંચ્યા બાદ ગુજરાત સરકાર સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પડકારશે. જે અંગે હાલ એડવોકેટ જનરલ સાથે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા પરામર્શ કરવામાં આવી રહ્યો છે. જે બાદ આગામી દિવસોમાં સરકાર નિર્ણય કરશે.


ગુજરાતમાં લવ જેહાદના કાયદા મુદ્દે હાઈકોર્ટ તરફથી ગુજરાત સરકારને મોટો ઝટકો લાગ્યો છે. લવ જેહાદના કાયદાની કલમ 5 પરનો સ્ટે હટાવવાનો હાઈકોર્ટે ઇનકારી કરી દીધો છે. આજે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે કલમ 5 પરનો સ્ટે હટાવવા કોર્ટમાં રજુઆત કરી હતી. કાયદેસરનું ધર્માંતરણ કરવા માટે કલેકટરની પરવાનગી જરૂરી હોવાની જોગવાઈ પર મનાઈ હુકમ હટાવવા એડવોકેટ જનરલે માંગ કરી હતી. 


બીજી તરફ સરજદારના વકીલે સરકારની અરજીનો વિરોધ કર્યો હતો. કાયદામાં લગ્નથી ધર્માંતરણને ગેરકાયદે બનાવવાનો સરકારનો પ્રયાસ હાઇકોર્ટે સ્ટે કર્યો એ વ્યાજબી હોવાની અરજદારે રજુઆત કરી હતી. હાઇકોર્ટે એડવોકેટ જનરલની રજુઆત ફગાવી હતી. કલમ 5 પરનો સ્ટે યથાવત રહેશે. કાયદેસરના લગ્નથી ધર્માંતરણ માટે કલેક્ટરની પરવાનગી જરૂરી હોવાની જોગવાઈ પર હાઇકોર્ટનો મનાઈ હુકમ યથાવત રહેશે.


ગુજરાત હાઈકોર્ટે અગાઉ લવ જેહાદ કાયદાની અમુક જોગવાઈઓ પર  મનાઇ હુકમ આપ્યો હતો.  ગુજરાત ધર્મસ્વતંત્રતા સંશોધન બિલ 2021ને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજદારે ધર્મસ્વતંત્રતા કાયદામાં કરેલા સુધારાની જોગવાઈને લઈને વાંધો ઉઠાવ્યો હતો. અરજદારની રજુઆત એ પણ હતી કે આંતરધર્મિય લગ્નને લઈને કરવામાં આવેલી જોગવાઈને કારણે કોઈ પણ ફરિયાદ કરી શકે, એ જોગવાઈ બંધારણે આપેલી સ્વતંત્રતાથી વિપરીત છે. 


હાઇકોર્ટે આ કેસમાં વચગાળાનો ચુકાદો આપ્યો છે. લવ જેહાદના કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઇકોર્ટ મનાઈ હુકમ આપ્યો છે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. આંતરધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર એફઆઈઆર થઈ શકશે નહીં તેવું હાઈકોર્ટનું અવલોકન છે. બળજબરી દબાણ કે લોભ લાલચ લગ્ન થયા છે તેવું પુરવાર કર્યા સિવાય એફઆઈઆર થઈ શકશે નહીં. 









અરજદાર તરફથી વકીલની ગુજરાત હાઇકોર્ટમાં રજુઆત હતી કે, અમારી પાસે વિવિધ ફરિયાદો થઈ હોય એવી માહિતી છે. પોલીસ અધિકારીઓ કાયદાનું અર્થઘટન કઈ રીતે કરશે એ બાબત ધ્યાનમાં લેવા જેવી, તેમ હાઇકોર્ટ કહ્યું હતું.