અમદાવાદ: દેશમાં કેટલીક જગ્યાએ વરસાદને કારણે પુરની સ્થિતિ જોવા મળી રહે છે જ્યારે અમુક જગ્યાએ ચોમાસાની કાગડોળે રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં પાંચ દિવસ સુધી સારો વરસાદ નહીં વરસે. જોકે અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડે તેવી શક્યતા જોવા મળી રહી છે.

આ સાથે બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોન સક્રિય થતાં 19થી 23 જુલાઈ દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં થાય તેવી શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

શુક્રવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેમજ 23 જુલાઇ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વાયુ વાવાઝોડા પછી વરસાદની સિસ્ટમ નબળી પડી જતાં અમદાવાદમાં વરસાદ ખેંચાયો છે.

અમદાવાદમાં ગુરુવારે રાતે અને આજે સવારે અનેક જગ્યાએ હળવા છાટાં પડ્યા હતાં. પરંતુ ગરમી અને બફારાથી લોકોને રાહત મળી નથી. જોકે રાજકોટમાં ગુરુવારે સામાન્ય વરસાદ વરસ્યો હતો. ભારે ગરમી વચ્ચે રાજકોટમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. મેઘરાજા ઝોનવાઈઝ વરસ્યા હતા

અગાઉ વાવણી લાયક વરસાદ થયા બાદ છેલ્લા થોડા દિવસોથી મેઘરાજા ગાયબ થઈ ગયા છે. જેના કારણે ખેડૂતો અને સૌ કોઈ ચિંતામાં મૂકાયા છે. હાલ તો ભારે ગરમીથી કોઈ-કોઈ જગ્યાએ લોકલ સીસ્ટમ બની જાય છે અને વાદળછાયું વાતાવરણ થાય છે.