અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં અત્યારે પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે અને અનેક પંપો પર 'પેટ્રોલ ખલાસ' ના બોર્ડ લાગી ગયા છે. લોકોમાં ડર છે કે પેટ્રોલ ખૂટી પડ્યું છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. આ સમગ્ર મામલે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના પ્રમુખ મેહુલ પટેલે સ્પષ્ટતા કરી છે કે લોકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી. દેશમાં 70 થી 80 દિવસ ચાલે તેટલો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો રિઝર્વ પડેલો છે. આ અછત પાછળનું સાચું કારણ ક્રૂડ ઓઇલની કમી નહીં, પરંતુ સરકારી પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા માર્ચ એન્ડિંગને પગલે પેમેન્ટ સિસ્ટમમાં કરાયેલો મોટો ફેરફાર છે.
ઉધાર બંધ અને એડવાન્સ પેમેન્ટનો નવો નિયમ
અત્યાર સુધી પંપ સંચાલકોને કંપનીઓ તરફથી ક્રેડિટ (ઉધાર) પર પેટ્રોલ અપાતું હતું. પરંતુ, હાલમાં માર્ચ એન્ડિંગ ચાલતું હોવાથી કંપનીઓ જૂની ઉઘરાણી કરી રહી છે. કંપનીઓએ એવો નિયમ લાગુ કર્યો છે કે જ્યાં સુધી તેમના બેંક એકાઉન્ટમાં એડવાન્સ પેમેન્ટ જમા નહીં થાય, ત્યાં સુધી પેટ્રોલનો નવો પુરવઠો નહીં મોકલાય.
ખાસ કરીને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) કે જે પંપ સંચાલકોને અત્યાર સુધી સૌથી વધુ ક્રેડિટ આપતી હતી, તેણે હાલમાં ઉધાર આપવાનું સદંતર બંધ કરી દીધું છે. આ જ કારણસર IOC ના પંપો પર સૌથી વધુ તંગી જોવા મળી રહી છે.
ખાનગી કંપનીઓની સ્થિતિ અને સરકારના પગલાં
હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ ઉપરાંત રિલાયન્સ, નાયરા અને શેલ જેવી ખાનગી કંપનીઓ પણ પોતાની રીતે નિર્ણયો લઈ રહી છે.
નાયરા કંપનીમાં તો પહેલેથી જ એડવાન્સ પેમેન્ટ લેવાય છે, પરંતુ હાલમાં તેમની વાડીનાર રિફાઇનરીમાંથી પેટ્રોલનો પુરવઠો ઓછો આવી રહ્યો છે.
બીજી તરફ, શેલના પેટ્રોલ પંપ પર બજાર કરતા ભાવ વધુ હોવાથી ત્યાં ગ્રાહકોની ભીડ ઓછી જોવા મળી રહી છે.
આ અછતને દૂર કરવા અને લોકોને મુશ્કેલી ન પડે તે માટે સરકાર અને પુરવઠા વિભાગ પૂરતું ધ્યાન આપી રહ્યા છે. તાજેતરમાં રાજકોટ ખાતે પેટ્રોલ પંપ એસોસિએશન અને કંપનીના અધિકારીઓ વચ્ચે એક મહત્વની મીટિંગ પણ યોજાઈ હતી, જેમાં કંપનીઓએ ઝડપથી પુરવઠો મોકલવાનું આશ્વાસન આપ્યું છે.
આગામી 10 દિવસમાં સ્થિતિ થશે સામાન્ય
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતમાં ક્રૂડ ઓઈલનો સપ્લાય રાબેતા મુજબ ચાલુ છે. ગયા અઠવાડિયે જ ખાડી દેશોમાંથી 2 ક્રૂડ ઓઇલના સુપર ટેન્કર ભારત આવ્યા છે. આ ઉપરાંત, રશિયાથી આવતું ક્રૂડ ઓઈલ વાયા ચીની સમુદ્ર થઈને પહોંચી રહ્યું છે અને ઈરાને પણ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' માંથી ભારતીય ટેન્કરોને પસાર થવાની છૂટ આપી દીધી છે. તેથી, બજારમાં પેટ્રોલની જે થોડી અછત થઈ છે તે માત્ર ક્રેડિટ પોલિસી બંધ થવાને કારણે છે. આગામી 1 અઠવાડિયાથી 10 દિવસમાં જ પરિસ્થિતિ એકદમ સામાન્ય થઈ જવાની પૂરી સંભાવના છે.
