અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા ઠંડીને લગઈ આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે છેલ્લા બે દિવસ દરમિયાન ગુજરતના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવતાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો. શનિવારે દિવસ દરમિયાન મહેસાણાના ખેરાળુ-સાબરકાંઠાના વિજયનગરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો જ્યારે વડનગર-વડાલી-ખેડબ્રહ્મામાં છૂટાછવાયા ઝાપટાં પડયા હતા.


ઠંડીનો ચમકારો વધશે


સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઓસરતાં જ રાજ્યમાં હવે માવઠાની કોઇ જ સંભાવના નથી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હવે માવઠાની કોઇ સંભાવના નથી. આગામી 48 કલાક દરમિયાન રાજ્યના લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. જોકે, ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રીનો ઘટાડો નોંધાતાં ઠંડીના ચમકારોમાં વધારો થઇ શકે છે.


વાતાવરણમાં આવેલા પલટાથી હાલ ઠંડીમાં થયો છે ઘટાડો


રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ઠંડીમાં સાધારણ ઘટાડો નોંધાયો છે અને મોટાભાગના શહેરમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે રહ્યું હતું. ગત રાત્રિએ 18.8 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. નલિયામાં 3 દિવસ બાદ તાપમાન ગગડીને 14 ડિગ્રી નોંધાઇ શકે છે.


અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 29.8 ડિગ્રી જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન 21.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 32 જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આગામી 25 નવેમ્બર બાદ રાજ્યમાં ઠંડીના ચમકારામાં વધારો થઇ શકે છે.


ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના 36 નવા કેસ


ગુજરાતમાં કોરોનાના 30થી વધુ કેસ નોંધાવવાનો ક્રમ યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36 નવા કેસ સામે આવ્યા છે જ્યારે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. શનિવારે વધુ 4.10 લાખને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.  છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાંથી 8- ગ્રામ્યમાંથી 1 સાથે 9, વડોદરામાંથી 7, સુરત-વલસાડમાંથી 4, જામનગરમાંથી 3, રાજકોટ-કચ્છ-સાબરકાંઠામાંથી 2, ગાંધીનગર - મહેસાણા- નર્મદામાંથી 1-1 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે 8,27,184 છે જ્યારે કોરોનાથી કુલ મરણાંક 10,091 છે. છેલ્લા 24 કલાકમાં વધુ 44 દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,16,770 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 98.74 ટકા છે. રાજ્યમાં હાલ 323 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. અમદાવાદ 129, વડોદરા 55, સુરત 26, વલસાડ 24 સાથે સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા જિલ્લા છે. રાજ્યમાં કુલ વેક્સિનેશન ડોઝ હવે 7.69 કરોડ થયો છે. જેમાં 4.53 કરોડ દ્વારા પ્રથમ ડોઝ અને 3.16 કરોડ દ્વારા બંને ડોઝ લેવાઇ ચૂક્યા છે.