Traffic Rules: રાજ્યમાં દિવાળીના તહેવાર પહેલા વાહનો ચાલકો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું,  ટ્રાફિક નિયમો તોડનારને દિવાળીના તહેવારોમાં પોલીસ દ્વારા કોઈ પણ દંડ નહીં થાય.   ટ્રાફિક સિગ્નલ તોડનારને ટ્રાફિક પોલીસ દ્વારા સમજાવવામાં આવશે. આ નિર્ણય 27 ઓક્ટોબર સુધી લાગુ રહેશે એટલે કે આગામી 6 દિવસ હવે પોલીસ લોકો પાસેથી ટ્રાફિક નિયમોને લગતો કોઈ પણ દંડ વસૂલશે નહીં.  તહેવારની સિઝનમાં સરકાર તરફથી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરતાં નાગરિકોને અપીલ પણ કરી છે કે વાહન ચાલકો પણ નિયમોનું પાલન કરે.


ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષ્યતામાં સુરક્ષા બેઠક યોજાઈ હતી. દિવાળી પહેલા સુરત પોલીસ સહિત સોસાયટીના પ્રમુખો વચ્ચે બેઠક યોજાઈ હતી. દિવાળીના તહેવારને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે. સુરતના ઉમરા વિસ્તારમાં 500થી વધુ સોસાયટીના પ્રમુખો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. સેફ દિવાળી, સેફ સુરત પોગ્રામમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. સુરતના અલથાણ, ઉમરા,ખટોદરા,પાંડેસરા,વેસુ વિસ્તારના આગેવાનો અને સોસાયટીના લોકો સાથે મિટિંગ યોજવામાં આવી હતી.


દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતાં પ્રવાસીઓ માટે મોટા સમાચાર


 શાળાઓમાં દિવાળીના વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો બીજી તરફ અન્ય બિઝનેસ યુનિટોમાં દિવાળી પર હવે રજાઓ ટૂંક સમયમાં જાહેર થઈ જશે. એવામાં મોટા ભાગના લોકો પરિવાર સાથે ફરવા જતા હોય છે. ત્યારે દિવાળીના વેકેશનને ધ્યાનમાં રાખીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ 24 ઓક્ટોબર સોમવારના રોજ પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રાખવામાં આવશે.  તમને જણાવી દઈએ કે, આમ તો સોમવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી મેન્ટનન્સ માટે બંધ રાખવામાં આવે છે.


દિવાળીને ધ્યાનમાં રાખીને આ સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના સંલગ્ન પ્રોજેકટ પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવામાં આવશે. 25 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના સંલગ્ન પ્રોજેકટ પર રજા રાખવામાં આવી છે. આ ઉપરાંત કોઈપણ પ્રકારની પૂછપરછ માટે 18002336600 પર સંપર્ક પણ કરી શકો છો.  પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અધિકૃત વેબસાઈટ www.soutickets.in પર થી ટીકીટ બુક કરાવવાની રહેશે.


 7 લાખથી વધુ પશુપાલકોની દિવાળી સુધરી


દિવાળી પહેલા અમુલે પશુપાલકોને મોટી ભેટ આપી છે. અમુલે દૂધ ભાવમાં વધારો કર્યો છે. અમુલે દૂધની ખરીદીમાં પ્રતિકિલો ફેટે 20 રુપિયાનો વધારોકર્યો છે. આ ભાવ વધારાનો લાભ પશુપાલકોને 1 નવેમ્બરથી મળશે. આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના 7 લાખથી વધુ પશુપાલકોને આ ભાવ વધારાનો લાભ મળશે. અમુલના આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.