Gujarat Congress: અમદાવાદ પૂર્વની સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે ત્યારે હવે આ બેઠક પર રોહન ગુપ્તાના સ્થાને હિંમતસિંહ પટેલ લોકસભાના ઉમેદવાર બનશે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર બની શકે છે હિંમતસિંહ પટેલ. આ પહેલા અમદાવાદ પૂર્વ માટે 2 નામ ચર્ચામાં હતા. હિંમતસિંહ પટેલ અને રોહન ગુપ્તાના નામ ચર્ચામાં હતા. રોહન ગુપ્તાનું નામ જાહેર થયા બાદ પિતાની તબિયતના કારણે તેમણે ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. હિંમતસિંહ પટેલ અમદાવાદના મેયર અને બાપુનગરના ધારાસભ્ય રહી ચૂક્યા છે. હિંમતસિંહ પટેલ હાલ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ છે.


નોંધનીય છે કે, ગઈકાલે અમદાવાદ પૂર્વ બેઠક પરથી જાહેર કરવામાં આવેલા કૉંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. પિતાની નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.  લોકસભા ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન અને 4 જૂને પરિણામ આવશે. 


કૉંગ્રેસના નેતા રોહન ગુપ્તા દ્વારા એક્સ પર પોસ્ટ કરી આ અંગે જાણકારી આપવામાં આવી છે. તેમણે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ગંભીર તબીબી સ્થિતિને લીધે, મારા પિતા હોસ્પિટલમાં દાખલ છે અને હું કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમદાવાદ પૂર્વ સંસદ બેઠક માટે મારી ઉમેદવારી પરત ખેંચી રહ્યો છું. હું પક્ષ દ્વારા નામાંકિત નવા ઉમેદવારને સંપૂર્ણ સમર્થન આપીશ.


રોહન ગુપ્તાના પિતા  રાજકુમાર ગુપ્તાએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. નાદુરસ્ત તબિયતનું કારણ ધરી કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે.   ગુજરાતમાં  કૉંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં 7 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. 


ગુજરાતમાં કૉંગ્રેસે 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી 


બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર
અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા
અમદાવાદ પૂર્વ રોહન ગુપ્તા
બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી
વલસાડથી અનંત પટેલ
પોરબંદરથી લલિત વસોયા
કચ્છથી-નિતેષ લાલણ  


પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.


અગાઉ કોંગ્રેસે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં રાહુલ ગાંધી, શશિ થરૂર અને કેસી વેણુગોપાલ સહિતના દિગ્ગજ નેતાઓની ઉમેદવારીની જાહેરાત કરવામાં આવી હતી.


3 પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોને ટિકિટ


બીજી યાદીમાં કોંગ્રેસે 3 પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોને ટિકિટ આપી છે. અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને રાજસ્થાનના ઝાલોર અને કમલનાથના પુત્ર નકુલ નાથને એમપીના છીંદવાડાથી તો આસામના પૂર્વ સીએમ તરુણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગાઈને ટિકિટ આપી છે.