અમદાવાદ: કોરોનાને ફેલાતો અટકાવવા માટે લોકડાઉન ચાલુ છે ત્યારે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે, જેમાં રાજીવ ગુપ્તાએ અમદાવાદમાં અનાજ-કરિયાણા, ફળ, શાકભાજી અને અનાજ દળવાની ઘંટી પણ 15મી મેથી ચાલુ કરવાની છૂટ આપવાના નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સિંગના ચુસ્ત પાલનની શરત સાથે આ છૂટ આપવામાં આવી છે.


આઈ.એે.એસ અધિકારી રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, તમામ સુપરસ્પ્રેડર્સનું સ્ક્રિનિંગ કર્યાં પછી જ આ છૂટનો અમલ કરાશે. દૂધ વેચનારાઓને પણ સ્ક્રિનિંગમાં આવરી લેવામાં આવશે. તેમનું સ્ક્રિનિંગ કરીને તેમને હેલ્થ કાર્ડ ઇશ્યૂ કરવામાં આવશે. આ કાર્ડ સમયાંતરે રિન્યુ કરાવવો પડશે. કયા-કયા વિસ્તારોમાં છૂટછાટ આપવામાં આવશે તેની પછી જાહેરાત કરવામાં આવશે. 15 મેથી લોકોને જીવનજરૂરિયાતની વસ્તુઓ ઉપલબ્ધ થઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હોમડીલિવરીની સેવાઓ પણ 15 મેથી શરતોને આધીન ચાલુ થઈ જશે.

હોમ ડિલિવરીએ કરતી વિવિધ એજન્સીઓ જેવી કે, ડીમાર્ટ, ઓશિયા હાયપરમાર્ટ, બીગબાસ્કેટ, બીગ બઝાર, ઝોમેટો, સ્વિગી તેમજ તેના જેવા અન્ય તમામ હોલસેલ તેમજ રીટેઇલ હોમડીલીવરીની એજન્સીઓએ હોમડીલિવરી માટે સવારના 10 વાગ્યાથી બપોરના 5 વાગ્યા સુધીમાં જ વસ્તુ ડીલિવર કરવાની રહેશે. એટલે કે આ ગાળા સિવિયાના સમય દરમિયાન ડીલિવરી કરવાની રહેશે નહીં. ઉપરાંત હોમ ડીલિવરી કરતી કંપનીઓએ માત્ર ડીજીટલ મોડમાં જ પેમેન્ટ સ્વીકારવાનું રહેશે એટલે કે કેશ ઓન ડીલિવરી અથવા રોકડમાં ટ્રાન્ઝેક્શન સ્વીકારી નહીં શકે.