Ahmedabad: અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. પ્રહલાદનગરના આનંદનગર રોડ પર અકસ્માત સર્જાયો છે. ટાયટેનિયમ સિટી સેન્ટર પાસે કારચાલકે 2 રિક્ષાને અડફેટે લીધી હતી. અકસ્માતમાં બે લોકોને ફ્રેક્ચર થયું હતું. ઈજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.




આજે રાજ્યમાં પણ અકસ્માતની વણઝાર થઈ છે. અનેક શહેરોમાં અકસ્માત સર્જાયાના સમાચાર આવ્યા છે. ભરૂચના હાંસોટના અલવા ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 મહિલા સહિત કુલ પાંચ લોકોના મોત થયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.


આજે રાજ્યમાં ક્યાં ક્યાં સર્જાયા અકસ્માત



  • સુરતના ડુમસમાં અકસ્માત સર્જાયો હતો. ચાલકે ગફલત રીતે ગાડી ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. ડુમસમાં અન્ય લોકોએ ચાલાકને  તતડાવ્યો હતો. ચાલક રોંગ સાઈડ આવતા કાર ખાડામાં ખાબકી હતી, ત્યાંથી પસાર થનારા લોકો માંડ માંડ બચ્યા હતા.

  • પોરબંદર નજીકના રાણાવાવ બાયપાસ પર અકસ્માત સર્જાયો હતો. રીક્ષા પલટી માજતા બાળકો સહિત 6 લોકોને ઇજા થઈ હતી. ડ્રાઈવરે હેન્ડલ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

  • સુરતના માંગરોળનાં ઝંખવાવ-વાડી માર્ગ પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ઉભેલી ટ્રક પાછળ ભટકાઈ હતી. કુબેર ભંડારી દર્શન જઈ રહેલા નાશિકના પરિવારને અકસ્માત નડ્યો હતો. બે વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતા. કારમાં સવાર છ લોકોનો આબાદ બચાવ થયો હતો.

  • ગાંધીનગરથી શિરડી જતી બસને વહેલી સવારે મહુવા નજીક અકસ્માત નડ્યો હતો. મુસાફરો ભરેલી ખાનગી લકઝરી મહુવા - અનાવલ સ્ટેટ હાઇવે પરથી પસાર થઈ રહી હતી. મહુવાના વહેવલ ગામની સીમમાં લકઝરીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બસ નદીના પુલ સાથે અથડાઈ રેલિંગ તોડી નદીના પુલ પર લટકી હતી. અકસ્માતમાં 4 થી 5 મુસાફરોને નાની મોટી ઇજાઓ સાથે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં મહુવા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.

  • મોરબીના જુના ખારેચીયા ગામના પાટિયા પાસે  ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો. ટ્રેક્ટર ચાલક ભંગુભાઈ તેના સાસુ-સસરા-પત્ની સહિતને સાત લોકોને બેસાડી ખેતર લઇ જવા નીકળ્યા હતા. નવા ખારચિયા ગામ પાસે પાછળથી આવતા ટ્રકે ટ્રેક્ટરને ઠોકર મારતા અકસ્માત થયો હતો. ટ્રેક્ટરમાં સવાર ચાલક સહિત 5 ને ઈજા થઇ તો એકનું મોત થયું હતું. આ ઘટનામાં માનસિંહભાઈ ધુલિયાભાઈ મેહડાનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.