CORONA VIRUS: ચીનમાં ફરી કોરોનાએ કહેર વર્તાવાનું શરૂ કર્યું છે. ચીન બાદ બીજા દેશોમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ભારત સરકારે પણ સાવચેતીના ભાગ રૂપે એરોપોર્ટ ટેસ્ટિંગ પર ભાર મુક્યો છે.








જો ગુજરાતની વાત કરીએ તો આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે.  જેમાં અમદાવાદમાં 2 કેસ જ્યારે કચ્છ અને વલસાડમાં 1-1 કેસ સામે આવ્યા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી.


દરરોજ વધી રહ્યા છે કોરોના કેસ, અમે નહીં આંકડા કહે છે


ચીન અને અમેરિકાની સાથે સાથે સમગ્ર વિશ્વમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં કોરોનાના કેસોમાં તેજી જોવા મળી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના 228 નવા કેસ નોંધાયા છે. આ સાથે, હવે સક્રિય કેસોની સંખ્યા વધીને 2,503 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 275 લોકો સાજા થયા છે. જે બાદ રિકવરીની કુલ સંખ્યા વધીને 4,41,46,330 થઈ ગઈ છે. આ સાથે, રિકવરી રેટ હાલમાં 98.8 ટકા છે અને સક્રિય કેસ 0.01 ટકા છે.


91.17 કરોડ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છ


મંત્રાલયના અહેવાલ મુજબ, પોઝિટિવિટી દર 0.11 ટકા નોંધવામાં આવ્યો હતો, જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી દર 0.12 ટકા છે. જાણકારી અનુસાર દેશમાં કુલ 91.17 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 1,99,731 પરીક્ષણો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 46,450 ડોઝ આપવામાં આવ્યા હતા. અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 220.12 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં 95.13 કરોડ બીજા ડોઝ છે અને 22.42 કરોડ બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે.






છેલ્લા ત્રણ દિવસનું કોવિડ અપડેટ


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 3 જાન્યુઆરીના રોજ કોવિડ-19ના 134 નવા કેસ નોંધાયા હતા. 4 જાન્યુઆરીએ 175 નવા કેસ નોંધાયા હતા. આ પછી, 5 જાન્યુઆરીએ કોવિડ -19 ના 188 નવા કેસ નોંધાયા હતા. કોરોના વાયરસના નવા પ્રકારને કારણે ચીનમાં ગભરાટ ફેલાયો છે, તેના ખતરાને જોતા રાજ્યોની સાથે સાથે કેન્દ્રની સરકારો ખૂબ જ સાવધ છે. ચીને ડેટા જાહેર કર્યો છે, જે દર્શાવે છે કે લોકો ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BA.5.2 અને BF.7થી વધુ સંક્રમિત થઈ રહ્યા છે.


વિશ્વના ઘણા દેશોમાં વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને ભારતે ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઈલેન્ડથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે. આ રિપોર્ટ ભારત આવવાના 72 કલાક પહેલાનો હોવો જોઈએ. તે જ સમયે, 24 ડિસેમ્બરથી, એરપોર્ટ પર કોવિડ રેન્ડમ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા હતા.