અમદાવાદવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હોવાની ચર્ચા બાદ વનવિભાગે તપાસ કરતા દીપડો નહીં પણ ઝરખ હોવાનો ખુલાસો થયો છે.


વસ્ત્રાલની સીમમાં આવેલા શક્તિ માતાજીના મંદિર પાસે દીપડા જેવા પ્રાણીના ફૂટમાર્ક મળી આવતા વનવિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. વનવિભાગની ટીમે આ વિસ્તારમાં પાંજરુ ગોઠવી સ્થાનિક લોકોને એલર્ટ પણ કર્યા હતા.

જો કે, એક સીસીટીવીમાં દીપડો કેદ થયો હોવાના સ્થાનિક લોકોના દાવા બાદ વનવિભાગે તપાસ કરતા સીસીટીવીમાં દેખાતું પ્રાણી દીપડો નહીં પણ ઝરખ હોવાનો ખુલાસો થયો છે. વસ્ત્રાલ વિસ્તારમાં દીપડો નહીં આવ્યો હોવાની વનવિભાગે પુષ્ટિ કરતા જ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

નોંધનીય છે કે, શનિવારે રાજકોટના કાલાવડ વિસ્તાર આસપાસ દીપડો દેખાયો હતો. શહેરી વિસ્તારમાં દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. બાદમાં અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં દીપડો ફરતો હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે અમદાવાદમાં દીપડો નહીં પણ ઝરખ હોવાનું સામે આવતા અમદાવાદના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.