Gujarat Politics: ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની સત્તાવાર વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને શ્રીફળ અર્પણ કર્યું હતું, જ્યારે પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલે જગદીશ વિશ્વકર્માને ભાજપનો ઝંડો સુપરત કર્યો હતો. નવનિયુક્ત પ્રદેશ પ્રમુખનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગદીશ વિશ્વકર્માને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે ભાજપ હંમેશા સરકાર અને સંગઠનના તાલમેલથી આગળ વધે છે, અને દરેકને સાથે લઈને ચાલવું એ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મંત્ર છે.

Continues below advertisement

 

ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું પ્રથમ સંબોધન

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ તેમના પ્રથમ સંબોધનમાં પોતે એક બૂથ કાર્યકર હોવાનો ઉલ્લેખ કરીને શિર્ષસ્થ પદ પર પહોંચવા બદલ પક્ષનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેમની સાચી ઓળખ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે અને આ જવાબદારી માત્ર તેમની એકલાની નહીં, પરંતુ ભાજપના સૌ કાર્યકરની છે.

તેમણે કહ્યું કે તેમના માટે બૂથ પ્રમુખ કે જિલ્લા પ્રમુખ બંને એક સમાન છે અને પાર્ટીની સાચી મૂડી એ પક્ષના કાર્યકરો છે. તેમણે કાર્યકરોને મહાન કવિ બોટાદકરની પંક્તિ "નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન" યાદ કરાવી હતી. વિશ્વકર્માએ લાગણી સાથે કહ્યું કે, "હું અહીં છું તે આપ કાર્યકરોના કારણે છું. જો હું ગળામાંથી ખેસ કાઢીને બજારમાં નીકળું તો કોઈ મને બોલાવે નહીં."

આ બે પૂર્વ  મુખ્યમંત્રીને કર્યા યાદ

પૂર્વ અધ્યક્ષોને યાદ કરતાં તેમણે કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલાના નામનો ઉલ્લેખ કર્યો હતો. અંતમાં, તેમણે સ્પષ્ટતા કરી કે ટીમ ગુજરાત બનીને ગુજરાતની જનતાની તનતોડ સેવા કરવાની છે અને જનતાએ વર્ષોથી ભાજપ પર મૂકેલો ભરોસો જાળવી રાખવાનો છે.

કોણ છે જગદીશ વિશ્વકર્મા?

જગદીશ વિશ્વકર્મા (પંચાલ)  બીજેપીના કદાવર નેતા છે. હાલમાં જેઓ વર્તમાનમાં રાજ્ય સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી (Minister of State) તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સહકાર (Co-operation), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો (MSME), કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ (Cottage, Khadi and Rural Industries), અને નાગરિક ઉડ્ડયન (Civil Aviation) જેવા મહત્ત્વના વિભાગોનો સ્વતંત્ર હવાલો સંભાળે છે. રાજકીય કારકિર્દીની વાત કરીએ તો, તેઓ નિકોલ વિધાનસભા મતવિસ્તાર (અમદાવાદ) માંથી ભારતીય જનતા પાર્ટી (BJP) ના ધારાસભ્ય (MLA) છે અને તેમણે ભૂતકાળમાં અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પણ સંગઠનમાં યોગદાન આપેલું છે.

નોધનિય છે કે, નિકોલ બેઠકના બીજેપીના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ ગત ચૂંટણીમાં તેમના સોગંદનામામાં 29 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી હતી. આ આંકડો તેમને અમદાવાદના સૌથી ધનિક ધારાસભ્ય બનાવે છે. જો આપણે તેમના વ્યવસાય અંગે વાત કરીએ તો,તેઓ  ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગ, ડેવલપર્સ અને ઇન્ફ્રા માર્કેટિંગ સાથે જોડાયેલા છે.