અમદાવાદ: ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહના દુઃખદ અવસાન નિમિત્તે  "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણ રદ કરવામાં આવ્યો છે.  તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2024 સુધી કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરો, સ્ટેન્ડ અપ કોમેડી શો, બેન્ડ પર્ફોર્મન્સ, ડીજે કિયારા, લેસર-ડ્રોન શો, આતશબાજી સહિત અનેક કાર્યક્રમો યોજવાના હતા, પરંતુ પૂર્વ પીએમ મનમોહનસિંહના નિધનના કારણે હવે તે રદ કરવામાં આવ્યો છે.


તો બીજી તરફ અમદાવાદમાં યોજાનાર ફલાવર શોની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે. 1 જાન્યુઆરીથી ફલાવર શોની શરૂઆત થનાર હતી. જો કે, કાંકરિયા પરિસરમાં સવારે વોક માટે આવતા મુલાકાતીઓ પ્રવેશ મેળવી શકશે. રંગારંગ કાર્યક્રમો સંપૂર્ણપણે રદ્દ કરાયા છે.


કેન્દ્ર સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો


દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું છે. તેમના નિધન બાદ દેશભરમાં શોકની લહેર છે. મનમોહન સિંહ 92 વર્ષના હતા. તેમને 8:06 વાગ્યે દિલ્હી એઈમ્સમાં લાવવામાં આવ્યા હતા. તબીબોના પ્રયાસો છતાં તેને બચાવી શકાયો ન હતો અને 9:51 વાગ્યે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગઈકાલે નિધન થયું. તેમના નિધન પર સમગ્ર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે અને કેટલાક રાજ્યોમાં રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે.


સીએમ ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો હતો કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ


 






અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો 25 ડિસેમ્બરથી પ્રારંભ થયો હતો. 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ વખતે વસુધૈવ કુંટુંમ્બકમ-એક ધરતી એક પરિવારની થીમ પર કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. તો રાત્રે વિકસિત ભારત સંકલ્પ થીમ પર લેસર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2003 થી મનાવવામાં આવતા કાર્નિવલમાં છ દિવસમાં એક લાખ લોકો આવવાનો અંદાજ હતો. કાંકરિયા કાર્નિવલમાં આ વર્ષે લેસર શો,ડ્રોન શો અને લાઈટીંગ શો આકર્ષણનું કેન્દ્ર રહેવાના હતા.


આ પણ વાંચો....


Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા