અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં યોજાયેલા ‘યુવા સંવાદ’ કાર્યક્રમમાં ખોડલધામના નરેશ પટેલે મોટું નિવેદન આપ્યું હતું. પાટીદારોની રાજકીય પાર્ટી બનાવવાના પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ‘રાજકીય પાર્ટી બનાવવા માટે એકઠા થઈને ચર્ચા કરવી પડે. પાટીદાર યુવાનો રાજનીતિમાં આવે તે માટે ખોડલધામ નીચે સંસ્થા બનશે. ભવિષ્યમાં એક થઈને આ બાબતે ચર્ચા કરવામાં આવશે.’


યુવા સંવાદમાં તેમણે કહ્યું કે, સરકારી નોકરીમાં લોકોએ વધારે જોડાવું  જોઈએ. રાજકારણમાં વધુ રસ લો, રાજકારણમાં ઊંડા ઉતરજો. જે પાર્ટીમાં જવું હોય ત્યાં જાજો પણ વધુને વધુ લોકોને જોડવા જોઈએ.

આ ઉપરાંત તેમણે કહ્યું કે, ખોડલધામમાં જે કંઈ થયું છે તે સૌ કોઈ જાણે છે. ખોડલધામને મેનેજમેન્ટનું બિરુદ મળ્યું એટલે લોકો અંદર ઉતરીને કામ કરતાં હતા. આજે ટ્રસ્ટ પાસે 50 હજાર સ્વયંસેવકો સૌરાષ્ટ્રના છે. કોઇપણ કામમાં ઇનવોલ્વમેન્ટ રાખવું જરૂરી છે. બીજા શું કરે છે તે જોવાની જરૂર નથી, તમારે શું કરવું તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. જીવનશૈલીમાં ડીસીપ્લીન જરૂરી છે. કોઈપણથી અભિભૂત ન થવું જોઈએ.