ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે રાજ્યના પ્રાથમિક શિક્ષકોને 4200 રૂપિયા ગ્રેડ પેનો લાભ આપવાની જાહેરાત કરતાં 65 હજાર શિક્ષકોમાં આનંદની લાગણી છે. અહીં ગ્રેડ પે શું છે અને તેના કારણે શિક્ષકોને કેટલો ફાયદો થશે તેની સમજ આપી છે.


કેન્દ્ર તથા રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પહેલાં ગ્રેડ પેની વ્યવસ્થા હતી પણ સાતમા પગાર પંચમાં આ વ્યવસ્થા કાઢીને નવી ફોર્મ્યુલા અમલમા મૂકાઈ છે. આ ફોર્મ્યુલા પ્રમોશન તથા નોકરીનાં વરસો આધારિત છે, રાજ્ય સરકારના અલગ અલગ વિભાગમાં કર્મચારીને પ્રમોશન મળે કે તે સાથે તેનો હોદ્દો અ્ને પગાર પણ વધે છે. શિક્ષકની નોકરીમા પ્રમોશન નથી. કોઈ વ્યક્તિ શિક્ષક તરીકે નિમાય અને નિવૃત્ત થાય તો પણ શિક્ષક જ રહે છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને શિક્ષકો માટે સરકારે ગ્રેડ પેની જોગવાઈ કરી હતી. આ જોગવાઇ પ્રમાણે સરકારના અન્ય વિભાગમાં બઢતી અપાય છે તે પ્રમાણે શિક્ષકોને બઢતી ભલે ના અપાય પણ શિક્ષકોને આર્થિક નુકસાન ન જાય તેટલા માટે તેમનો પગાર જે તે વિભાગના કર્મચારી જેટલો કરી દેવા માટે ગ્રેડ પે અપાય છે.

હાલમાં રાજ્ય સરકારની ફોર્મ્યુલા પ્રમાણે કોઇ વ્યકિત શિક્ષક તરીકે નિમણૂંક પામે ત્યારે તેને રૂપિયા 2400ના ગ્રેડ પેનો લાભ મળે છે. મતલબ કે તેના બેઝિક પગારમાં 2400 રૂપિયા ઉમેરાઈ જાય. તેના આધારે તેનું મોંઘવારી ભથ્થુ તથા અન્ય પગાર ગણાય. 9 વર્ષની નોકરીનો સમયગાળો થાય એટલે ગ્રેડ પે વધાની પહેલાં 2800 રૂપિયા થથો હતો તે વધીને રૂપિયા 4200 થાય, 20 વર્ષની નોકરી કરે એટલે ગ્રેડ પે રૂપિયા 4400 થાય અને 31 વર્ષની નોકરી કરે એટલે ગ્રેડ પે રૂપિયા 4600 થાય.