અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદનું જોર ઘટ્યું છે. આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે સામાન્યથી લઈ મધ્યમ વરસાદની આગાહી કરી છે. 6 ઓગસ્ટથી લઈને 12 ઓગસ્ટ સુધી માછીમારો માટે કોઈ સૂચના આપવામાં નથી આવી. અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
હમણાં મોનસુન ટ્રફ પૂર્વ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ પસાર થઈ રહ્યું છે. અમદાવાદના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. મિનિમમ તાપમાન 26 અને મેક્સિમમ તાપમાન 33ની આજુબાજુમાં રહેવાની શક્યતા છે.
આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસશે. સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદની શક્યતા છે.
આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં પણ વરસાદ વરસી શકે છે. આ સિવાય પણ અનેક જિલ્લાઓમાં હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે હાલમાં વરસાદી ઝાપટા રહેશે. 6 ઓગસ્ટથી લઈને આગામી 12 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા વધવાની શક્યતા રહેશે. 19 થી 22માં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યના કેટલક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં નદીઓમાં પૂરની સ્થિતિ પણ બની શકે છે.
17મી ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે જેનો ટ્રેક મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના ભાગોમાં આવતા તારીખ 20 ઓગસ્ટથી ઓગસ્ટના અંતમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતા કોઈ ભાગોમાં પૂરની સ્થિતિ રહેશે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ સાનુકૂળ સ્થિતિ હશે તો ડીપ ડિપ્રેશન બની શકે છે. તારીખ 13 થી 14 ઓગસ્ટમાં ભારતમાં ચોમાસું સક્રિય થશે એટલે ખેડૂત ભાઈઓને વરસાદની ચિંતા કરવા જેવુ નથી.
રાજ્યમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 67.11 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.47 ટકા, પૂર્વ મધ્યમાં 64.87 ટકા, સૌરાષ્ટ્રમાં 55. 11 ટકા વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર ડેમ 82.91 ટકા ભરાયો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 67.97 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 63 ટકા નોંધાયો છે. રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતા આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળશે.