અમદાવાદઃ શહેરમાં હાલ દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો હાલ બંધ છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશને 15મી મેથી શહેરમાં ડી માર્ટ, ઓશિયા હાઈપર માર્ટ, બીગ બાસ્કેટ, બીગ બાઝાર, ઝોમેટો, સ્વિગિ સહિતના રિટેઇલ એન્ડ હોમ ડિલવરી એજન્સીને પરવાનગી આપી છે. જોકે, આ એજન્સીઓએ ચોક્કસ ગાઇડલાઇનનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.


ઓનલાઈન ફૂડ ડિલિવર કરતી કંપનીઓએ પોતાના ડિલિવરી સ્ટાફનું 100 ટકા મેડિકલ સ્ક્રિનિંગ કરાવવુ પડશે. એટલુ જ નહીં હોમ ડિલિવરીનો પણ ડિજિટલ પેમેન્ટથી વ્યવહાર કરવો પડશે. અમદાવાદમાં કેશ ઓન ડિલિવરી નહીં થઈ શકે. કન્ટેન્મેન્ટ અથવા તો રેડ ઝોનમાં કોઈ ડિલિવરી બોય જઈ શકશે નહીં. ડિલિવરી બોય પાસે હેન્ડ ગ્લોવ્ઝ, સેનિટાઈશેઝન કેપ અને સેનિટાઈઝર રાખવા પડશે.



અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાની આગેવાનીમાં એએમસી કમિશનર સહિત ઉચ્ચ અધિકીરીઓ એક બેઠક મળી હતી. જેમાં આગામી દિવસોમાં લોકડાઉન ખુલ્લુ થયા પછી કયા પ્રકારના પગલાં લેવા તે અંગે મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો અને એક નવી ગાઈડલાઈન્સ બહાર પાડી હતી.

અમદાવાદમાં સંક્રમણ ફેલાતું અટકાવવા માટે ગુજરાત સરકારે ખરીદી કરવા માટે સંપૂર્ણ રીતે ડીજીટલ થવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે લોકોને અપીલ કરી છે કે, તે કેશને બદલે યુપીઆઈ, એનઈએફટી, મોબાઈલ બેકિંગ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે. કરન્સી નોટથી વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે હોમ ડિલિવરી સહિતની બધી ખરીદી માટે ડીજીટલ માધ્યમને અપનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.



ગુજરાતના એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ આ સંબંધમાં આદેશ બહાર પાડતા કહ્યું હતું કે, કરન્સી નોટ દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે હોમ ડિલિવરીમાં કેશલેસ પેમેન્ટ ફરજિયાત કરી દેવાયું છે. આ ચૂકવણી યુપીઆઈ સહિત અન્ય પ્લેટફોર્મ દ્વારા થશે. આ નિયમ 15 મેથી લાગુ થશે.

એક સપ્તાહના ચુસ્ત લોકડાઉન બાદ 15 મેથી અમદાવાદમાં ગ્રોસરી શોપ ખુલ્લા કરવા આદેશ આપવામાં આવ્યો છે. જેમાં ડી માર્ટ, ઓશિયા માર્કેટ સિવાય ઝોમેટો અમે સ્વીગીના ડિલિવરી માટે આયોજન કરવામાં આવ્યું છે.