અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે કેસોમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં સંક્રમણ ન વધે તેના માટે અનેક કડક પગલ લેવામાં આવી રહ્યાં છે. કરિયાણા અને શાકભાજી વેચાણ પર 15 તારીખ સુધી પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ત્યારે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાની આગેવાનીમાં એએમસી કમિશનર સહિત ઉચ્ચ અધિકીરીઓ એક બેઠક મળી હતી. જેમાં આગામી દિવસોમાં લોકડાઉન ખુલ્લુ થયા પછી કયા પ્રકારના પગલાં લેવા તે અંગે મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો અને એક નવી ગાઈડલાઈન્સ બહાર પાડી હતી.


અમદાવાદમાં સંક્રમણ ફેલાતું અટકાવવા માટે ગુજરાત સરકારે ખરીદી કરવા માટે સંપૂર્ણ રીતે ડીજીટલ થવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે લોકોને અપીલ કરી છે કે, તે કેશને બદલે યુપીઆઈ, એનઈએફટી, મોબાઈલ બેકિંગ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે. કરન્સી નોટથી વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે હોમ ડિલિવરી સહિતની બધી ખરીદી માટે ડીજીટલ માધ્યમને અપનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ગુજરાતના એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ આ સંબંધમાં આદેશ બહાર પાડતા કહ્યું હતું કે, કરન્સી નોટ દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે હોમ ડિલિવરીમાં કેશલેસ પેમેન્ટ ફરજિયાત કરી દેવાયું છે. આ ચૂકવણી યુપીઆઈ સહિત અન્ય પ્લેટફોર્મ દ્વારા થશે. આ નિયમ 15 મેથી લાગુ થશે.

એક સપ્તાહના ચુસ્ત લોકડાઉન બાદ 15 મેથી અમદાવાદમાં ગ્રોસરી શોપ ખુલ્લા કરવા આદેશ આપવામાં આવ્યો છે. જેમાં ડી માર્ટ, ઓશિયા માર્કેટ સિવાય ઝોમેટો અમે સ્વીગીના ડિલિવરી માટે આયોજન કરવામાં આવ્યું છે.

શરૂઆતી તબક્કામાં ડીજીટલ પેમેન્ટમાં નાગરિકોને મુશ્કેલી પડી શકે છે જેના ભાગરૂપે ગ્રોસરી શોપના કર્મચારીઓને તાલીમ આપવાની કામગીરી કરવામાં આવશે. આ સિવાય રેડ ઝોનમાંથી આવતાં ઝોમેટો અને સ્વિગિના ડિલિવરી બોયને હાલ પરવાનગી આપવામાં આવશે નહીં. જો કે AMCના સૂત્રો અનુસાર, કોઈ પણ સ્ટોર પર સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરે તો તેની સામે કાર્યવાહી કરવા પણ AMCની તૈયારી છે.