અમદાવાદના કરફ્યુગ્રસ્ત વિસ્તારોમાં ઈમર્જન્સીના સંજોગોમાં કરફ્યુ પાસ મળશે, જાણો પાસ મેળવવા શું કરશો?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Apr 2020 11:59 AM (IST)
અમદાવાદ શહેરના કોટ વિસ્તાર તથા દાણીલીમડામાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. આ કરફ્યુ 21 એપ્રિલ સુધી અમલી રહેશે.
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યા સૌથી વધારે છે ત્યારે અમદાવાદ શહેરના કોટ વિસ્તાર તથા દાણીલીમડામાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. આ કરફ્યુ 21 એપ્રિલ સુધી અમલી રહેશે. કરફ્યુગ્રસ્ત વિસ્તારોમાં બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી છૂટ અપાશે. જો કે માત્ર મહિલાઓ જ બહાર નિકળી શકશે. આ છૂટ દરમિયાન દૂધ, અનાજ, કરિયાણું વગેરે જેવી વસ્તુઓ લેવા જઈ શકશે. અલબત્ત ઈમર્જન્સી હોય તેમને બહાર નિકળવાની છૂટ મળશે પણ તેને માટે કરફ્યુ પાસ લેવો ફરજિયાત છે. આ પાસ લેવા માટે આ વેબસાઇટ પર https://www.digitalgujarat.gov.in/ ઓનલાઇન અરજી કરવી પડશે. કરફ્યુ દરમિયાન સ્થાનિક પોલીસ સાથે આ તમામ વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પોલીસ, હોમગાર્ડ, એસઆરપી, પેરામિલિટ્રી ફોર્સ, બીએસએફ, આરએએફ સહિતના સ્ટાફને તૈનાત કરવામાં આવશે. અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા શાહપુર, કારંજ, દરિયાપુર, ગાયકવાડ હવેલી, ખાડિયા, કાલુપુર ઉપરાંત દાણીલીમડા વિસ્તારોમાં કરફ્યુનો અમલ થશે.