Makar Sankranti 2023: આજે સમગ્ર રાજ્યમાં ઉમળકાભેર ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. નાના મોટી સૌ કોઈ પતંગો ચગાવી રહ્યા છે. આજે આજે ગુજરાતના સીએમ ભુપેદ્ર પટેલે પણ પતંગ ચગાવી હતી. સીએમએ અમદાવાદના દરિયાપુરની નવા તળિયા પોળમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. સીએમ ભુપેન્દ્ર પટેલના આગમનથી કાર્યકરોમાં પણ જોશ જોવા મળ્યો હતો. 


 






મુખ્‍યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મકરસંક્રાંતિ પર્વની સૌ નાગરિકોને શુભેચ્‍છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ સૂર્ય નારાયણનો ઉત્તર તરફના પ્રયાણનો આ ઉત્‍સવ સૌના વિકાસ માટેની ઉર્ધ્વગતિનો ઉત્‍સવ બની રહે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી છે.  તેમણે પતંગ ઉડ્ડયનનું આ પર્વ   સમાજમા સૌના સાથ સૌના વિકાસના ધ્યેય સાથે સંવાદિતા-ભાઇચારા અને પરસ્પર પ્રેમનું દ્યોતક બનશે તેવો વિશ્‍વાસ વ્‍યકત કર્યો છે.


અભિનેત્રી રોમા માણેકે મેયર પતિ સાથે પતંગ ચગાવી


 ગાંધીનગરના મેયરે ઉત્તરાયણ પર્વની ઉજવણી પાલજ ગામમાં કરી. પાલેજ ગામ ગાંધીનગર મહાપાલિકાના વોર્ડ નંબર 4માં આવે છે. મેયર હિતેશ મકવાણાએ તેમની પત્ની અને ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી રોમાં માણેક અને વોર્ડ 4ના કોર્પોરેટર અને ગ્રામજનો સાથે ઉજવણી કરી હતી. ઉજવણી પહેલા જરૂરિયાતમંદ લોકોને પતંગનું વિતરણ કર્યું હતું.


બીજી તરફ ગ્રામજનોએ ગુલાબની પાંદડીઓથી રોમા માણેક અને હિતેશ મકવાણાનું કર્યું સ્વાગત કર્યું હતું. ગુજરાતના રાજકારણના આકાશમાં ભાજપનો પતંગ ઉચોને ઉચો જ ચગતો રહેશે અને ભાજપ પોતાના કામનું મૂલ્યાંકન કરશે તેવો વિશ્વાસ હિતેશ મકવાણાએ વ્યક્ત કર્યો. તો તેમના પત્ની રોમા માણેકે પતિ મેયર બન્યા હોવાથી સમય ઓછો આપે છે જેના કારણે મીઠો ઝઘડો થતો હોવાનું જણાવતા પોતે રાજકારણમાં નહિ આવે માત્ર પતિને સાથ આપશે તેવું જણાવ્યું હતું.


 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા ભગવાન જગન્નાથના શરણે


મકરસંક્રાંતિના પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગૃહમંત્રી બન્યા એ પહેલાથી જ તેમણે જગન્નાથ મંદિર પ્રત્યે વિશેષ લાગણી છે. તેમને જયારે પણ સમય મળે છે ત્યારે તેઓ મંદિરે આવી દર્શન કરવા આવતા રહે છે.  આ ઉપરાંત પરિવાર સાથે ગાય માતાનું પૂજન કરે છે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન મંગળા આરતી પણ કરે છે. 


તો બીજી તરફ અમદાવાદ શહેરના વેજલુપરમાં અમિત શાહના સ્વાગતની તૈયારી કરવામાં આવી છે. ઢોલ નાગારા સાથે લોકોએ તૈયારી કરી છે. અમિત શાહને આવકારવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  આ ઉપરાંત ગૃહમંત્રી ગુજરાતમાં હોવાથી ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર થઈ શકે છે. એક વ્યક્તિ એક હોદ્દાની અમલવારી માટે લેવાશે નિર્ણય. સંગઠનના હોદ્દા પર રહેલી વ્યક્તિ ધારાસભ્ય બનતા ફેરફાર થશે. મળતી માહિતી પ્રમાણે ધારાસભ્ય બનેલા સંગઠનના હોદ્દેદારોના રાજીનામાં લેવાશે, તમને જણાવી દઈએ કે અનેક શહેર જિલ્લાનાં પ્રમુખ ઉપ પ્રમુખ મહામંત્રી ચૂંટણી  લડ્યા હતા. અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાષ્ટ્રીય કારોબારી બેઠક થશે. રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે.