અમદાવાદઃ અમદાવાદમાં એક જ દિવસમાં હત્યાના બે બનાવ સામે આવતાં ચકચાર મચી ગઈ છે. ઘાટલોડિયામાં યુવકની હત્યા કરવામાં આવી છે. જ્યારે સરસપુરમાં ખૂદ પતિએ જ પત્નીની હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. મળતી વિગતો પ્રમાણે 40 વર્ષીય રાજશ્રી ગાડગે પાંચેક વર્ષથી અમદાવાદમાં પતિ શૈલેષ સાથે રહેતી હતી. દરમિયાન કોઈ બાબતે કંકાસ થતાં રિસાઇને પિયર આવી ગઈ હતી.


ગઈ કાલે સાંજે શૈલેષ રિસાયેલી પત્ની સાથે વાત કરવા સાસરે ગયો હતો. જોકે, પત્નીએ વાત કરવાનો ઇનકાર કરતાં પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને છરી મારીને ગળું કાપી નાંખ્યું હતું. જેને કારણે રાજશ્રીનું મોત થયું છે. શહેર કોટડા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. અન્ય હત્યાની વિગતો જોઇએ તો શહેરના મેમનગર વિસ્તારમાં આવેલા સસીતા એપાર્ટમેન્ટમાં બંધ ઘરમાંથી દુર્ગંધ આવતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.

પોલીસે ઘર ખોલતાં જ હાથ-પગ બાંધી યુવકને સિલિંગ સાથે લટકાવી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃતક યુવક નિખિલ સૂર્યવંશી(ઉં.વ.25) હોવાનું જાણવા મળ્યું છે. જે પગેથી વિકલાંગ છે અને મૂળ દ્વારકાનો રહેવાસી છે. અહીં ભાડેથી રહેતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. પોલીસે આ ઘટનામાં પણ વધુ તપાસ હાથ ધરી છે.