Ahmedabad Helmet Rule: અમદાવાદ શહેરમાં વધતા જતા ટ્રાફિક અને તેના કારણે થતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનરે એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. આ આદેશ અનુસાર, અમદાવાદ શહેર પોલીસ દળમાં ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારી, કર્મચારી અને સિવિલિયન સ્ટાફે ટુ વ્હીલર વાહન ચલાવતી વખતે ફરજિયાતપણે હેલ્મેટ પહેરવાનું રહેશે.


આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ રોડ અકસ્માતમાં થતાં મૃત્યુની સંખ્યા ઘટાડવાનું છે. NCRB દ્વારા પ્રકાશિત 2022ના આંકડા મુજબ, ભારતમાં કુલ 1,71,100 વ્યક્તિઓના મૃત્યુ રોડ અકસ્માતના કારણે થયા હતા, જેમાંથી 45.51% મૃત્યુ ટુ વ્હીલર વાહનચાલકોના હતા. ગુજરાતમાં 2022માં કુલ 7,634 લોકોના રોડ અકસ્માતમાં મૃત્યુ થયા, જેમાંથી 49.17% મૃત્યુ ટુ વ્હીલર વાહનચાલકોના હતા.


આદેશમાં નીચેની મુખ્ય સૂચનાઓ આપવામાં આવી છે:



  1. તમામ પોલીસ કર્મચારીઓએ યુનિફોર્મ કે સિવિલ ડ્રેસમાં, ફરજના સ્થળે કે અન્યત્ર જતી વખતે ટુ વ્હીલર પર ફરજિયાત હેલ્મેટ પહેરવું.

  2. સુપરવાઇઝરી અધિકારીઓ અને ઇન્ચાર્જોએ તેમના તાબા હેઠળના કર્મચારીઓ હેલ્મેટ પહેરે તે સુનિશ્ચિત કરવું.

  3. પોલીસ કમિશનર કચેરી સહિત તમામ પોલીસ સ્ટેશન, શાખા અને યુનિટના પ્રવેશદ્વાર પર હેલ્મેટની ચકાસણી કરવામાં આવશે.

  4. હેલ્મેટ વગર આવનાર કર્મચારીઓને કચેરીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

  5. નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કાયદા મુજબ દંડ અને શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.


આ પગલું માત્ર પોલીસ કર્મચારીઓની સલામતી માટે જ નહીં, પરંતુ સમાજમાં એક ઉદાહરણ સ્થાપિત કરવા માટે પણ લેવામાં આવ્યું છે. પોલીસ કમિશનરે આ આદેશની ચુસ્તપણે અમલવારી કરવા તમામ સુપરવાઇઝરી અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે.


નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ ગુજરાત હાઈકોર્ટે સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવવા અંગે મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતો. હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલે જણાવ્યું કે, સરકાર આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર સૂચના જાહેર કરશે.


ચીફ જસ્ટિસે ટકોર કરતા કહ્યું કે, "લોકોને સમય અને કાયદા બંનેની ભાન કરાવવાની જરૂર છે." તેમણે ઉમેર્યું કે આવા કર્મચારીઓને રોકવાથી તેમને સમયનું પણ ભાન થશે.


આ નિર્ણય માત્ર સરકારી કર્મચારીઓ પૂરતો સીમિત નથી. ગુજરાત હાઈકોર્ટમાં કામ કરતા કર્મચારીઓ માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવા અંગે સર્ક્યૂલર બહાર પાડવાની વિચારણા ચાલી રહી છે.


આ પગલાંથી રાજ્યમાં ટ્રાફિક નિયમોનું પાલન વધશે અને રોડ સુરક્ષામાં સુધારો થશે તેવી અપેક્ષા છે.


આ પણ વાંચોઃ


દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને મોટી રાહત, કોર્ટે આપ્યા જામીન, 18 મહિના પછી જેલમાંથી બહાર આવશે