અમદાવાદના હાથીજણ વિસ્તાર ખાતે આવેલા લંપટ નિત્યાનંદ આશ્રમ વિવાદમાં પોલીસે આશ્રમની બે સંચાલિકાની ધરપકડ કરી હતી. સગીરાઓ સાથે દુર્વ્યવહાર બદલ પોલીસે બંને સંચાલિકાની ધરપકડ કરી હતી. સગીરા સાથે દુર્વ્યવહાર મામલે આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાનંદાની ધરપકડ કરી છે. ત્યાર બાદ તામિલનાડુનાં જનાર્દન શર્માની કથિત ગૂમ દીકરી નિત્યાનંદિતાએ પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં ગુજરાત પોલીસને અનેક સવાલો કર્યાં હતાં. (તસવીર સૌજન્ય - ફેસબુક)

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વીડિયોમાં નિત્યાનંદિતાએ જણાવ્યું હતું કે, મેં પહેલા પણ કહ્યું હતું અને હાલ પણ કહ્યું છું કે, હવે હું કે મારી બહેન નિત્યાનંદ આશ્રમ સાથે સંકળાયેલા નથી. મેં જાહેરમાં પણ આ કહ્યું છે કે, આ સાથે પોલીસને પણ લેખિતમાં આપ્યું છે. તે છતાં પણ આજે સવારે અમદાવાદ પોલીસ અમારા કેમ્પસમાં આવી અને આશ્રમનાં સંચાલક પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાનંદાની ધરપકડ કરીને લઈ ગઈ હતી.

તેમની ધરપકડ કરવી એ મારા કેસથી એકદમ અલગ જ વાત છે. તે ત્યાંની સંચાલિકા છે અને આ મારો પારાવારિક પ્રશ્ન છે. તેમણે બંન્નેની ધરપકડ તો કરી પરંતુ તેની સાથે આશ્રમની અન્ય સેવિકાઓને પણ પરેશાન કરી રહ્યાં છે. તે સારી વાત નથી.

નિત્યાનંદિતાએ આગળ જણાવતા કહ્યું હતું કે, મેં અને મારી બહેને પહેલા જ નક્કી કર્યું હતું કે અમે આ સંસ્થાને છોડીને પછી અમારો પારિવારિક પ્રશ્ન ઉકેલીશું. ત્યાર બાદ જ અમે ફરીથી સંસ્થા સાથે જોડાઈશું. તો પણ પોલીસે બંન્ને સેવિકાઓની ધરપકડ કરી છે.

જનાર્દન અને તેની પત્ની ભુવનેશ્વરીએ જ આ પ્લાન ઘડ્યો છે. પહેલી તારીખે જનાર્દનનો ફોન આવ્યો હતો ત્યારે તેણે મારી સાથે ઘણી જ નમ્રતાથી વાત કરી હતી. જે તેના ગુણ વિરૂદ્ધ છે. મને નથી ખબર તેના મગજમાં શું છે પરંતુ તેણે મને કહ્યું હતું અને ધમકાવી પણ હતી કે, હું પોક્સો એક્ટ હેઠળ સ્વામીજી વિરૂદ્ઘ ખોટો દુષ્કર્મનો કેસ કરું.