Groundnut Godown Fire: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગતા આ દુર્ઘટનામાં ગોડાઉનમાં રાખેલી આશરે 25,000 બોરી મગફળી બળીને ખાખ થઈ ગઈ હતી. અંદાજિત લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. હવે મામલે રાજકારણ પણ ગરમાયું છે. ખુદ બીજેપી નેતાએ જ આ અંગે સવાલો ઉભા કર્યા છે. પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીએ આ અગ્નિકાંડમાં કૌભાંડ થયું હોવાની આશંકા વ્યક્તિ કરી છે. તો બીજી તરફ હવે કોંગ્રેસે પણ સવાલો ઉઠાવ્યા છે. કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ કેટલાક વેધક સવાલો કર્યા છે
થાન મગફળી ગોડાઉનમાં આગ લાગવા પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, મગફળી ગોડાઉનમાં આગ લાગવી એ ગુજરાતમાં સામાન્ય ઘટના બની ગઈ છે. ભ્રષ્ટાચારને છુપાવવા માટે સરકારના મળતીયાઓ જ આગ લગાવે છે. સરકારમાં બેઠેલા ભાજપના જ આગેવાનો ભ્રષ્ટાચાર કરે, આગ લગાવે, તપાસ સમિતિ નિમે ને નિર્દોષ જાહેર કરે. FCI ના ગોડાઉનમાં ક્યારેય આગ નથી લાગતીને મગફળી ગોડાઉનમાં જ આગ કેમ લાગે ?
તેમણે આગળ કહ્યું કે, સરકારે અગાઉ મગફળી ગોડાઉનમાં લાગેલી આગમાં કડક હાથે કામ લીધું હોત તો આજે આગ ન લાગી હોત. ચોર પોતે, ચોકીદાર પોતે, પોલીસ પોતે, જજ પણ પોતે તેવો ઘાટ મગફળી કૌભાંડમાં દર વખતે રચાયો છે. અગાઉ ગોંડલમાં શોર્ટ સર્કિટથી આગનો રિપોર્ટ એવા ગોડાઉનમાં આવ્યો કે જ્યાં PGVCL નું કનેક્શન જ નહોતું. PGVCL નું કનેક્શન ન હોય ત્યાં વીજળી ક્યાંથી આવી ?
પાલ આંબલિયાના કેટલાક સવાલો
- શોર્ટ સર્કિટ કેમ થયુંને આગ કેમ લાગી ?
- થાન ગોડાઉનમાં મગફળી કઈ કઈ સહકારી મંડળીની આવી હતી?
- એના માલિક ક્યા પક્ષ સાથે જોડાયેલ છે ?
- કઈ કઈ સહકારી મંડળીમાંથી કેટલા જથ્થામાં મગફળી આવી હતી ?
- ગોડાઉનના માલિક કોણ છે ?
- ક્યા પક્ષ સાથે જોડાયેલા છે ?
- ગોડાઉનમાં મગફળી આવી ત્યારે તેની ચકાસણી કરનારા કોણ હતા ?
- રજીસ્ટર નિભાવ્યું છે ?
- ગોડાઉનમાં કુલ કેટલો જથ્થો આવ્યો હતો કેટલો સળગી ગયો ?
- બચેલો જથ્થો છે તેની ગુણવત્તા ચકાસણી સરકાર કરશે ?
તેમણે વધુમાં કહ્યું કે, જો સરકાર દુધનું દૂધને પાણીનું પાણી કરવા માંગતી હોય તો તપાસ કમિટી નીમવી જોઈએ. જો સરકાર કુંલળીમાં અગાઉ ગોળ ભાંગ્યો તેવી જ રીતે ગોળ ભાંગવા માંગતી ન હોય તો તપાસ સમિતિ નીમવી જોઈએ. તપાસ કમિટીમાં બે સત્તાપક્ષના, બે વિરોધપક્ષના, બે નિષ્ણાત નિવૃત અધિકારીઓ, બે ખેડૂત આગેવાનોને સાથે રાખી તપાસ કરવી જોઈએ.
આ પણ વાંચો...